Mysamachar.in-
કન્સ્ટ્રકશન મોટો વ્યવસાય છે જેમાં તંત્રોની મીઠી નજરને કારણે ઘણાં પ્રકારની અનિયમિતતાઓ અને ગેરરીતિઓ આચરવામાં આવતી હોય છે, ઘણાં કિસ્સાઓમાં મોતનો બનાવ પણ બનતો હોય છે આમ છતાં કસૂરવારો સલામત રહી શકતાં હોય છે, એક જિંદગી મોતનો કોળિયો બની જાય ત્યારે પણ સંબંધિત સૌ ગંભીર હોતાં નથી !! જામનગર શહેરમાં આવો વધુ એક ગમગીન બનાવ બન્યો છે, એક પરિવારના મોભીનું મોત થયું છે પરંતુ સંબંધિત તંત્રો કયાંય ચિત્રમાં નથી.
શહેરમાં સેંકડો જગ્યાઓ પર બાંધકામ પ્રવૃતિઓ ચાલતી હોય છે, આવી જગ્યાઓ પર ખોદકામથી માંડીને બાંધકામ સુધીના વિવિધ તબક્કાઓ દરમિયાન સિમેન્ટ, ચૂનો, માટી વગેરેના રજકણો આસપાસના લોકોને,રાહદારીઓને તથા વાહનચાલકોને માટે અનેક પ્રકારની હાલાકીઓ ઉભી કરતાં હોય છે, જેમાં લોકોના આરોગ્ય સામે જોખમો પણ પેદાં થતાં હોય છે, આવી બાબતો અટકાવવા ઔદ્યોગિક સલામતી એટલે કે ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ ઉપરાંત કોર્પોરેશન અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના વિભાગોએ બિલ્ડરો પાસે નિયમોનું પાલન કરાવવાનું હોય છે પરંતુ જયાં સુધી ફરિયાદ ન થાય ત્યાં સુધી તંત્રો જાણીતી આળસ અથવા નિષ્ક્રિયતા છોડતાં નથી અને ફરિયાદ થાય તેવા કિસ્સાઓમાં પણ કાગળો કેવી રીતે તૈયાર કરવા ? તે બાબતે તંત્રો જાણકાર અને રીઢાં હોય છે, જેનો સૌને કડવો અનુભવ હોય છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના આવા તંત્રોને છાવરવામાં શાણપણ જોતાં હોય છે.
બાંધકામ સાઈટ્સ પર કામદારોની સલામતી પણ બહુ ગંભીર અને સંવેદનશીલ મુદ્દો હોય છે. આગ અથવા અકસ્માત જેવા બનાવોમાં બાંધકામ શ્રમિક અથવા બાંધકામ પર પાણી છાંટનાર કે અન્ય કોઈ કારીગરને ઈજાઓ પહોંચે અથવા મૃત્ય થઈ જાય તેવા કિસ્સાઓમાં બિલ્ડર, કોર્પોરેશન અધિકારી તથા ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગના સંબંધિતોની જવાબદારીઓ વિશેષ મહત્વ ધરાવતી હોય છે પરંતુ મોટાભાગના આવા કિસ્સાઓમાં લાલિયાવાડીઓ ચાલતી રહેતી હોય છે, તંત્રો કામગીરીઓ કે કાર્યવાહીઓ કરતાં હોતાં નથી અને જે કોઈ કાર્યવાહીઓ થતી પણ હોય તે બાબતો પબ્લિક ડોમેનમાં મૂકતાં નથી હોતાં, કચેરીઓની ચાર દીવાલો વચ્ચે બધું નિપટાવી લેવામાં આવતું હોય છે કેમ કે બિલ્ડર લોબી વગદાર હોય છે અને કામો તથા સમસ્યાઓ સૂલટાવી લેવાના વિવિધ માર્ગો અખત્યાર કરી, સાંગોપાંગ બહાર નીકળી જતાં હોય છે.
આ પ્રકારની બધી બાબતોમાં ખાસ કરીને ઈન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ કાયમ ચર્ચાસ્પદ રહે છે, જેના અધિકારીઓ મોટેભાગે કલેક્ટર કચેરીમાં બેઠકોમાં જ વ્યસ્ત રહેતાં હોય છે, કલેક્ટર કચેરીમાં ઈન્ડસ્ટ્રીયલ સેફટી સંબંધિત આટલી બધી બેઠકો શાની હોય છે? તેની વિગતો કયારેય બહાર આવતી ન હોય, કંઈક મોટું રંધાતું હોવાની આશંકાઓ પણ સપાટી પર આવતી રહેતી હોય છે.
બાંધકામ સાઈટ પર અકસ્માત મોતનો વધુ એક ગંભીર કિસ્સો જામનગરમાં જાહેર થયો છે. શહેરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તાર કામદાર કોલોની શેરી નંબર 3 માં આંગન એકસોટીસ નામની ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે જયાં શુક્રવારે બપોરે મોતનો એક ગંભીર બનાવ બન્યો છે જે અંગે તંત્રો જાણે કે અજાણ છે !!
આ કેસમાં 65 વર્ષના મેરામણભાઈ કરશનભાઈ પરમાર નામના સિકયોરિટી કર્મચારીનું મોત થયું છે. તેઓ આ બિલ્ડીંગમાં પાણી છંટકાવ કરવાનું કામ કરી રહ્યા હતાં ત્યારે તેઓ અચાનક પડી ગયા અને ઈજાઓને કારણે તેમનું મોત થયું. મૃતકના પુત્ર દિપકભાઈએ આ અંગે પોલીસમાં જાણ કરી, પરંતુ ઔદ્યોગિક સલામતી વિભાગ આ ગંભીર બનાવ અંગે અજાણ છે.