Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજોમાં તથા સિવિલ હોસ્પિટલોમાં સિનિયર અને જૂનિયર તબીબો વચ્ચેના ગજગ્રાહ અને માથાકૂટો સમયાંતરે સમાચારનું સ્વરૂપ ધારણ કરતાં રહે છે. આવો જ વધુ એક મામલો જામનગરમાં બહાર આવતાં છેક દિલ્હીથી આ મામલાની તપાસનો આદેશ છૂટતાં તબીબી વર્તુળમાં ચકચાર મચી છે.
આ મામલાની બહાર આવેલી વિગતો એવી છે કે, તબીબોના એક વોટ્સએપ ગ્રૂપમાં થોડાં સમય અગાઉ એક સ્ક્રીનશોટ વાયરલ થયેલો. જેમાં એ મતલબનો ઉલ્લેખ હતો કે, કેટલાંક જૂનિયર તબીબોના ફૂડ બિલ (જેમાં ઠંડા પીણાંઓ અને જ્યુસ વગેરેનો સમાવેશ થતો હોય છે) બહુ મોટાં આવ્યા છે, અને એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, કેટલાંક સિનિયર તબીબોના આ ‘જલસા’ના નાણાં કેટલાંક જૂનિયર તબીબોએ ચૂકવવા પડે છે. આમ જૂઓ તો આ નવું નથી, ઘણી સંસ્થાઓમાં આવું ચાલતું હોય છે, ખાસ કરીને તબીબોની દુનિયામાં.
આધારભૂત સૂત્ર કહે છે: સિનિયર તબીબોની આ ‘દાદાગીરી’ અથવા એક પ્રકારનું રેગિંગ, આમ તો કેટલાંક સમય અગાઉ જ બહાર આવી ગયું હતું. ત્યારબાદ સ્થાનિક સ્તરે આ પ્રકરણની (ત્રણ તબકકે) તપાસ પણ થયેલી, આમ છતાં મામલો શાંત ન થયો. અને આ ચકચારી મામલાની કેટલીક આધારભૂત વિગતો, વાયા ગાંધીનગર છેક દિલ્હી, કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સુધી પહોંચી ગઈ. બાદમાં તેઓએ ગુજરાતના આરોગ્ય વિભાગને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસનો રિપોર્ટ ગાંધીનગર મોકલવો, એવો પણ આદેશ થયો હોવાનું બહાર આવ્યું છે.
આધારભૂત સૂત્ર એમ પણ કહે છે કે, સિનિયર તબીબોના ફૂડ બિલના ચૂકવણાંમાં કેટલાંક જૂનિયર તબીબોનું અડધું સ્ટાઈપેન્ડ ખર્ચ થઈ જતું હોય છે ! જેને પરિણામે ઘણાં જૂનિયર તબીબો નારાજ હતાં. તેઓએ આખરે આ ખેલ ઉંધો પાડી દેવા, આ મામલો ગાંધીનગર અને દિલ્હીમાં ગજાવી દીધો. થોડાં દિવસ અગાઉ એક તબક્કે આ મામલો મેડિકલ કોલેજ ડિન ડો. નંદીની દેસાઈ પાસે પણ પહોંચ્યો હતો. તેઓએ જો કે સમગ્ર મામલાને તબીબો વચ્ચેની માત્ર misunderstanding લેખાવી હતી. પરંતુ એ પછી પણ આ મામલો છેક દિલ્હી સુધી પહોંચ્યો.
દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે, ભવિષ્યમાં આવા પ્રશ્નો ઉભાં ન થાય તે માટે કોલેજ વહીવટીતંત્રએ આ માટે નવા પ્રોટોકોલ પણ અમલમાં મૂક્યા છે. દરમિયાન, કહેવાય છે કે, જીજી હોસ્પિટલના ગાયનેક વિભાગના ત્રણ મહિનાના ફૂડ બિલ હાલ પેન્ડિંગ પડ્યા છે, કેમ કે આ બિલની રકમો બહુ મોટી છે અને બિલ કોણ, કેવી રીતે અને શા માટે ચૂકવે ? એ મુદ્દે બબાલ ચાલી રહી છે.
શરૂઆતમાં આ મામલો ગાયનેક વિભાગના વડા સમક્ષ ગયેલો. તેઓએ તપાસના અંતે આક્ષેપોને પાયાવિહોણા ગણાવી દીધાં હતાં. બાદમાં, 3 સિનિયર પ્રોફેસરની એક તપાસસમિતિની રચના થઈ હતી. તેઓએ તપાસના અંતે, આ મામલો misunderstanding નો લેખાવ્યો હતો.
દરમિયાન એમ પણ જાણવા મળે છે કે, મેડિકલ કોલેજ- જીજી હોસ્પિટલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંબંધિતો સાથે મળી હવે MBBSના પ્રથમ વર્ષના તબીબી છાત્રોની આ સમસ્યા સમજવા પ્રયાસ કરી રહ્યા છે, અને તે માટે નવી પોલિસી તૈયાર કરવા મથી રહ્યા છે અને એમ પણ જાણવા મળે છે કે, હાલની આ બબાલનો તપાસ રિપોર્ટ ગાંધીનગર મોકલી આપવામાં આવ્યો છે. કારણ કે જેતે સમયે કેન્દ્રીય આરોગ્યમંત્રીએ આ પ્રકારનો આદેશ આપ્યો હતો.