Mysamachar.in-ગુજરાત
અકસ્માતના સમાચારો કોઈના પણ માટે નવી વાત નથી, અકસ્માત થતાં રહે છે, લોકો મરતાં રહે છે, અરેરાટી થતી રહે છે, અકસ્માતમાં લોકો કાયમી ખોડખાંપણો મેળવતાં રહે છે,વાહનોના કચ્ચરઘાણ નીકળતાં રહે છે, રસ્તાઓ ભયાવહ ચિચિયારીઓથી ગૂંજી ઉઠે છે, 108 અને પોલીસ દોડધામ કરતી રહે છે, અકસ્માતને કારણે ટ્રાફિક જામ થતાં રહે છે, આંકડાઓ પ્રગટ થતાં રહે છે, તારણો પ્રકાશિત થતાં રહે છે, બીજી તરફ સરકારી ધોરણે તથા સ્વૈચ્છિક સંસ્થાઓના માર્ગ સલામતી સપ્તાહ ઉજવાતાં રહે છે અને ઘણાં પ્રકારની ડાહી અને મીઠડી વાતો થતી રહે છે, પરિણામ શૂન્ય ! અકસ્માત થતાં રહે છે અને આ આખું ચક્કર ચાલતું રહે છે, કયાંય, કોઈ પણ પ્રકારની ગંભીરતા જોવા મળતી નથી !! માત્ર વાતો.
એમ કહેવામાં આવે છે કે, દેશભરમાં દર 60 મિનિટે 53 ગંભીર અકસ્માત થાય છે, એવા પણ આંકડાઓ જાહેર થયા છે કે, દર 60 મિનિટે 19 લોકોના અકસ્માતમાં મોત થાય છે, ટૂંકમાં, દર ત્રીજી મિનિટે એક ભારતીય અકસ્માતમાં કમોતે કાળનો કોળિયો બની જાય છે. અને, જવાબદારો તથા આગેવાનો નિવેદનો કરતાં રહે છે.
સ્પષ્ટ હકીકત એ છે કે, વાહનચાલકો પૈકી મોટાભાગના અણઘડ અને અભણ છે, તેઓમાં ટ્રાફિક સેન્સ તો દૂરની વાત છે, જનરલ સેન્સ પણ નથી હોતી. તેઓ વાહન ચલાવતી વખતે બેદરકાર હોય છે, તોરમાં હોય છે, સતર્ક હોતાં નથી, નિયમોનું પાલન કરતાં નથી, ચાલકોને નિયમોનું પાલન કરાવવા માટેની સરકારી એજન્સીઓ- RTO અને હાઈવે પોલીસ તથા ટ્રાફિક પોલીસ- હપ્તાખોરી અને તોડબાજીમાં વ્યસ્ત હોય છે.
હાઈવે સહિતના મોટાંનાના રસ્તાઓ ઈજનેરી દ્રષ્ટિએ પરફેક્ટ હોતાં નથી, ઘણાં કિસ્સાઓમાં તો રસ્તાઓ એ રીતે બનેલાં હોય છે, જે કાળમુખા સાબિત થતાં રહે. આવા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ બનાવનાર જવાબદારોને કે કસૂરવારોને કોઈ દંડ કે સજા થતાં નથી. રસ્તાઓના DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) ખામીરહિત હોવા જોઈએ, એવો આગ્રહ ન નેતાઓ રાખે છે, ન અધિકારીઓ. અને પ્રજા તો મોટાભાગની, આવી બાબતોમાં અંગૂઠાછાપ છે, કયાંય જાગૃતિ કે શિક્ષણ કે વિજિલન્સ કે કડક શિસ્ત અને આકરી સજાઓ જોવા મળતાં નથી, સર્વત્ર અંધેર અને અરાજકતા. વાતોમાં સૌ હોંશિયાર.
જામનગર, ગુજરાત સહિત દેશભરમાં વાહન સંબંધિત હજારો સમસ્યાઓ છતાં સૌ પોતપોતાનામાં વ્યસ્ત. અને બીજી તરફ વન નેશન, વન ચલણ જેવી વારતાઓ ચાલતી રહે છે. કયાંય, કોઈ ગંભીરતા નથી. અકસ્માત સર્જનાર પૈકી મોટાભાગના યેનકેન પ્રકારે દંડ અને સજામાંથી બચી જતાં હોય, કાયદા કે નિયમોનો કોઈને ખૌફ નથી, સર્વત્ર બેફામ ભ્રષ્ટાચાર, મોતના કિસ્સાઓમાં પણ ખિસ્સા ભરવાની હલકટ માનસિકતા.
રસ્તાઓ પર વાહનોની વધુ પડતી સંખ્યા, ટ્રાફિક નિયમન અને નિયંત્રણનો અભાવ, આડેધડ વાહનો હંકારવાની માનસિકતા, નેતાઓ અને અધિકારીઓની ઉદાસીનતા અને સ્વાર્થી નીતિ તથા પ્રજાનું રેઢિયાળપણું તેમજ અકસ્માત બાદ પ્રજાની પસીનાની કમાણીમાંથી વળતર ચૂકવવાની સરકારી જાહેરાતો અને કસૂરવારોને છાવરવાની ભ્રષ્ટ પરંપરાઓ જેવા કારણોસર અકસ્માત અટકવાનું નામ લેતાં નથી, ઘટવાને બદલે વધતાં રહે છે અને મોતના આંકડાઓ બિહામણાં બનતાં રહે છે અને આપણે સૌ અરેરાટી વ્યક્ત કરી, ગણતરીના કલાકો કે દિવસોમાં બધું જ ભૂલી જઈએ છીએ, બીજો અકસ્માત થાય ત્યાં સુધી !!