Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં હજારો ખેડૂતોની વેદના વિચિત્ર રીતે બહાર આવી છે, કુદરતે ગત્ ચોમાસામાં આ પંથકને કરોડો લિટર પાણી આપ્યું પરંતુ આમ છતાં આ પંથકમાં સિંચાઈ માટેનો પાણીનો પ્રશ્ન પેચીદો બન્યો. કરોડો લિટર કિંમતી પાણી સિંચાઈ વિભાગના પાપે વેડફાઈ ગયું, અને હવે હજારો ખેડૂતોનો પાક બચાવવા સ્થાનિક ડેમમાં નવું પાણી સૌની યોજના અંતર્ગત ઠાલવવું પડે તેવી વિચિત્ર સ્થિતિ નિર્માણ થઈ !! આ અંગે વિસ્તારના અગ્રણી અને પૂર્વ કેબિનેટ મંત્રી ચીમન શાપરીયાએ ખુદ મેદાને આવી અને મુખ્યમંત્રીને રજૂઆત કરવી પડી છે.
જામજોધપુર તાલુકાના વેણુ-1 વનાણા ડેમ હેઠળની જે સિંચાઈ યોજના છે તેની કેનાલના કમાન્ડ એરિયામાં જે ખેડૂતો ડેમનું પાણી સિંચાઈ માટે મેળવે છે તે પૈકી 39 ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના જામનગર જિલ્લા ડોકટર સેલના પૂર્વ કન્વીનર ડો. જયપ્રકાશ વાછાણીને પત્ર લખી પોતાની સમસ્યા અંગે જાણ કરી હતી. ત્યારબાદ, તેઓએ 19મી ડિસેમ્બરે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
આ પત્રમાં લખ્યું છે કે, જિલ્લા પંચાયત હસ્તકના વેણુ વનાણા ડેમની કેનાલનું સમારકામ અધિકારીઓની અણઆવડતને કારણે બરાબર થયું નથી. આથી ડેમમાંથી ખેડૂતોને પાણી અપાયા બાદ આ કેનાલ તૂટી જવાથી, ખેડૂતોના પાકને માત્ર બે જ પિયતનું પાણી આપી શકાયું છે. આ ડેમમાં કુલ 248 mcft પાણીનો જથ્થો હતો. તેમાંથી હાલ માત્ર 118 mcft પાણીનો જથ્થો છે. આમ ખેડૂતોને માત્ર 2 પિયતનું પાણી આપવામાં આવ્યું ત્યાં જ ડેમ અડધાંથી વધુ ખાલી થઈ ગયો. આ અગાઉ સિંચાઈ વિભાગે ખેડૂતો પાસે 8 પિયતના ફોર્મ ભરાવ્યા છે અને તેના પૈસા પણ વસૂલી લીધાં છે. હવે ડેમમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોનો રવિ પાક પાકી શકે એમ નથી. આ સ્થિતિમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી શકે તેમ છે.
આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, આ અગાઉ ગત્ 4 નવેમ્બરના દિને કેનાલના નબળાં સમારકામ અંગે મુખ્યમંત્રી કાર્યાલયને એક પત્ર પાઠવવામાં આવ્યો હતો. જે અંગે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી સૂચનાઓ આવ્યા પછી પણ, કેનાલનું સમારકામ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. આ પત્રમાં ખેડૂતો વતી જણાવ્યું છે કે, હાલની સ્થિતિએ જો સૌની યોજના અંતર્ગત આ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો, ખેડૂતોનો રવિપાક બચાવી શકાય.
પૂર્વ કેબિનેટમંત્રી ચીમનભાઈ શાપરિયાએ પણ CMને આ મુદ્દે પત્ર લખી જણાવ્યું છે કે, ખેડૂતોને ઉપરોકત રજૂઆતના અનુસંધાને તાત્કાલિક પાણી આપવામાં આવે તો તેઓના પાકને બચાવી શકાય એમ છે. અને આ પત્રમાં પૂર્વ કેબિનેટમંત્રી ચીમન શાપરીયાએ એમ પણ કહ્યું છે કે, સિંચાઈ વિભાગની કેનાલ સમારકામ સંબંધિત કામગીરીઓ કોઈ પણ અર્થમાં યોગ્ય રહી નથી.