Mysamachar.in-જામનગર:
હાલમા ચોતરફ કોરોના મહામારીનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે, એવામાં લોકો ભલે અત્યાર સુધી ઘરેલું નુંસખાઓ પર ધ્યાન ના આપતા પણ હવે તેને માનવા લાગ્યા છે, પણ આ બાબતે નિષ્ણાતોની સલાહ છે કે નુસખાઓ ના પ્રયોગ જરૂર કરો પરંતુ એક્સપર્ટની સલાહ મુજબ અથવા તો તેના યોગ્ય માપમાં..અન્યથા શરીરમાં બીજી તકલીફો ઉદભવી શકે છે, દિવસ-રાત ઉકાળો, તુલસી, ચા, આયુર્વેદિક ગોળીઓ જેવા નુસખા અપનાવે છે. આ પ્રમાણે કરવું એ સારી વાત છે. પરંતુ તેની માત્રામાં ભૂલ થાય તો તે જ નુસખો હાનિકારક નીવડી શકે છે. આરોગ્યના નિષ્ણાંતોએ સંક્રમણથી બચવા, ઇમ્યુનિટી વધારવા, ઘરેલું નુસખા અપનાવા અને હેલ્ધી ડાયટની સલાહનો લોકો પૂરતી સમજણ વિના ઓવર ડોઝ કરતા હોય છે. તેથી જ આયુર્વેદ વિશે કહેવાયું છે કે જે આયુ વિશે જ્ઞાન કરાવે તેને આર્યુર્વેદ કહેવાય. એટલે જ એ મુજબ અતિ કંઈ સારું નથી હોતું. એ ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે.
ભારતીય રસોડાથી જોડાયેલ લગભગ દરેક બાબત એ ભારતીય જનજીવનનો એક અગત્યનો ભાગ છે. ભારતીયોનું રસોડું એ 70% કરતાં પણ વધારે ઔષાધાલયની ગરજ સારતું હોય છે. આ દરેક ઘરગથ્થુ ઉપચારો અત્યંત લાભકારી હોય છે અને વર્ષોથી આપણા દેશમાં આ નુસખાઓ આપણને મોસમી બીમારીથી બચાવતા આવ્યા છે. કોરોનાથી બચવા લોકો હેલ્થ એકસપર્ટસ અને આયુષ મંત્રાલય દ્વારા અપાયેલ સૂચનો પ્રમાણે પરંપરાગત સ્વાસ્થ્ય વર્ધક વિધિઓને અપનાવી રહ્યા છે. જે મહામારી અને સંક્રમણ દરમ્યાન આપણી રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અવશ્ય ઉપકારક સાબિત થાય છે. પરંતુ આ દેશી નુસખાઓનો ઉપયોગ જરૂરતથી વધારે કરવામાં આવે તો તેની વિપરીત અસર જોવા મળે છે. આ દ્રશ્યો આપણે ત્યાં અમુક કિસ્સાઓમાં પણ જોવા મળે છે,
તબીબી અધ્યયન જણાવે છે કે જો ભૂખથી વધુ ભોજન કરવામાં આવે તો તે નુકસાનકારક છે. ભોજનને પણ ઔષધની માફક લેવું જોઈએ. એવું કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે ઘરેલું નુસખાનું પાલન કરતી વખતે વધુ મસાલાઓનો ઉપયોગ આપણા માટે નુકસાનકારક નિવડી શકે છે. તે માટે થોડા ઉદાહરણોથી આ વાતને વધુ સારી રીતે સમજી સ્વાસ્થ્ય અંગે સારા એવા હકારાત્મક અને કાયમી ઉકેલો લાવી શકાય એમ છે..જેમકે કાળી મરી, મેથી, હળદર, આદુ, અજમો, લવીંગ, સૂંઠ, લીંબુ, તુલસી વગેરે જેવી વસ્તુઓનો આપણે અત્યારે ઉકાળો બનાવવામાં અનલિમિટેડ ઉપયોગ કરી નાખતા હોઈએ છીએ. જેથી તેની આડઅસર થાય છે. પરંતુ સંતુલિત માત્રામાં રોજ તેનો શારીરિક અવસ્થા કે જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની કોઈ આડ અસર થતી નથી. તેમજ આપણા શરીરને સ્વસ્થ રાખે છે.
હાલના સમયમાં લોકોએ એકાએક આ સામગ્રીનો વધુ પડતો ઉપયોગ શરૂ કરી દીધો છે. જેથી લોકોને શારીરિક અને માનસિક સમસ્યાઓ પણ થવા લાગી છે. અત્યારે લોકો કોરોના અંતર્ગત સારવાર માટે આ વધુ પડતા મસાલાનો ઉપયોગ કરનાર અને વિટામીનની ટેબલેટ લેનાર બહુ છે. આ દર્દીઓમાં સામાન્ય રીતે અતિરેકથી ગળામાં ખરાસ થવી, શુષ્કતા, ખાંસી આવી એ.સી.ડી.ટી., છાતીમાં બળવું અને મુડ ખરાબ થવા જેવા લક્ષણો જોવા મળે છે. લીંબુ રોગપ્રતિકારક શકિત વધારે છે. પરંતુ લીંબુનો વધુ પડતા ઉપયોગ માથાનો દુ:ખાવો, ગળામાં તકલીફ, તાવ જેવા અનુભવો થાય છે. એવી જ રીતે દરેક મસાલાઓ વધુ માત્રામાં વાપરવાથી તેની અલગ અલગ સાઇડ ઈફેકસ થઈ શકે છે. સારું આરોગ્ય એ આપણને વૈશ્વિક જીવનરીતિઓ તરફ લઈ જાય છે. એટલે જ ભારતમાં એક કહેવત પ્રચલિત છે કે ‘સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે.’ સારું આરોગ્ય સારા જીવનમાં પરિણમે છે. આરોગ્યનું મહત્વ આ રીતે જરૂરિયાત મુજબ અને માફકસર ઔષધિના ઉપયોગમાં છે.