Mysamachar.in-જામનગર:
ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે, દુનિયામાં લાખો લોકો તેનાથી પ્રભાવિત છે, અને હજારો લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે. ભારતમાં ચેપગ્રસ્તોની સંખ્યા હજારોમાં તો ગુજરાતમાં પણ હજારોમાં છે, ચારેતરફ કોરોનાનો કેર છે, ત્યારે ઘાતક બની રહેલી આ મહામારીનાં સંક્રમણથી કેવી રીતે બચવું તે જાણવુ ખુબ જરૂરી છે, કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધુઓ.
પોતાનો બચાવ કેવી રીતે કરવો ?તે સૌ ના હાથમા જ છે માટે જ ફરી ફરી કહેવાય છે કે વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે જેમાં સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ, કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપાં તરે છે, જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપાં પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપાં પડ્યાં હોય અથવા એ ટીપાં તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે તો ચેપ લાગે છે,
ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો જોઇએ, ગંદા હાથે ચહેરાને ન અડવું સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે, મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ મળતું હોય છે, કેમ કે કોરોના વાઇરસની અસર ફેફસાં પર થાય છે, આની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે, વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવાનું શરૂ થવામાં સરેરાશ પાંચ દિવસ લાગી જતા હોય છે. જોકે, વૈજ્ઞનિકો એમ પણ કહે છે કે કેટલાક લોકોમાં આ લક્ષણો મોડા પણ દેખાઈ શકે છે,
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે, જો કે, કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેમાં 24 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે, જે લોકોમાં સંક્રમણના લક્ષણો હોય તેમના શરીર થકી ચેપ વધારે ફેલાય છે. જોકે, એવું પણ નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ બીમાર પડે એ પહેલાં પણ તે ચેપ ફેલાવી શકે છે, કોરોના વાઇરસના શરૂઆતના લક્ષણો શરદી અને ફ્લૂ જેવા કે ઋતુ બદલાવવાને કારણે થતા તાવ અને શરદી જેવો હોઈ કોઈ પણ સરળતાથી ભ્રમિત થઈ શકે છે માટે સજાગ રહેવુ જરૂરી છે.