Mysamachar.in-અમદાવાદ:
મહિલા પોલીસકર્મીના આપઘાતની ઘટના અમદાવાદમાં સામે આવી છે, વાત અમદાવાદ શહેરની છે, જ્યાં મણિનગરના ગોરના કુવા વિસ્તારમાં આવેલી કર્મભૂમિ રો હાઉસમાં એક મકાનમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરી લીધો હતો. પતિ અને પુત્ર એક લગ્નપ્રસંગમાં જામનગર આવ્યા તે દરમિયાન જ ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો હતો અને ત્રણેક દિવસ વીતી જતા લાશ ડીકમ્પોઝ થવા લાગી હતી. જેને પગલે અસહ્ય દુર્ગંઘ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી.મનીષા વિજયસિંહ ચૌહાણ નામની 34 વર્ષીય મહિલા પોલીસકર્મીના ઘરમાં અસહ્ય દુર્ગંધને પગલે પાડોશીએ પોલીસને જાણ કરી હતી. ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા બનાવને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતક મહિલા પોલીસકર્મીના મૃતદેહને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, મહિલા પોલીસકર્મીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પોલીસબેડામાં ગમગીની છવાઈ ગઈ છે.તો આપઘાત પાછળ કારણ શું તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.