Mysamachar.in:અમદાવાદ
તહેવારોની શરૂઆત થઇ છે ત્યારે ગુન્હાહિત માનસિકતા ધરાવતા ઈસમો પણ તહેવારો દરમિયાન સક્રિય થઇ ને લુંટ ચોરી હત્યા ચીલઝડપ સહિતના ગુન્હાઓને અંજામ આપવા માટે નીકળી પડે છે, ત્યારે દરેક શહેર ગામમાં વસવાટ કરતા લોકોએ ના માત્ર તહેવાર પણ દરેક સમયે એલર્ટ રહેવું અનિવાર્ય છે, નહિતર મોટી દુર્ઘટનાનો શિકાર પણ બની શકાય છે, અમદાવાદ શહેરમાં સામે આવેલ ઘટના ચોકાવનારી છે, જ્યાં ઘરે દંપતી એકલું હતું ત્યારે તેની લુંટના ઈરાદે હત્યા થઇ હોવાનો મામલો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયામાં આવેલા રન્ના પાર્કમાં ટેલિફોન એક્સચેન્જ પાસેના પારસમણિ ફ્લેટમાં દયાનંદ સુબરાવ શાનબાદ (ઉં. 90), પત્ની વિજ્યાલક્ષ્મી (ઉં. 80) અને પૌત્રી રિતુ સાથે રહેતાં હતાં. દયાનંદના 2 દીકરા પૈકી એક દીકરાનું બીમારીને કારણે અવસાન થયું હતું. જ્યારે બીજો દીકરો કિરણ તેના પરિવાર સાથે અડાલજની પાર્શ્વનાથ ટાઉનશિપમાં રહે છે. રિતુ અભ્યાસ કરતી હોવાથી ધનતેરસની સાંજે કામથી બહાર ગઈ હતી. જ્યારે સિનિયર સિટીઝન દંપતી ઘરમાં એકલું હતું.મંગળવારે સાંજે પોણા આઠ વાગ્યે મેડિકલ સ્ટોરનો કર્મચારી આ સિનિયર સિટીઝન દંપતીની દવા આપવા માટે ઘરે ગયો હતો ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી તે સીધો અંદર ગયો હતો અને જોયું તો બેડરૂમમાં દંપતી લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું.
આ અંગે તેણે ફોનથી દંપતીના પુત્ર કિરણભાઈ તથા આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ તેમ જ ઉચ્ચ અધિકારીઓ આવી પહોંચ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી. જ્યારે વિજ્યાલક્ષ્મીબહેને કાનમાં પહેરેલી બુટ્ટી લુટારુ લઈ ગયા ન હતા, પરંતુ બેડરૂમની તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં, જેથી લુટારુઓ દાગીના, રોકડ સહિતની કેટલી મત્તા લઈ ગયા છે તે હજી જાણી શકાયું નથી.