Mysamachar.in-અમદાવાદ:
ચોમાસાની ઋતુએ રાજ્યમાંથી વિદાય લીધી છે, અને ધીમા પગલે પણ શીયાળાની શરૂઆત થઇ ચુકી છે, તો આ વખતે શીયાળાની ઋતુમાં સમગ્ર દેશમાં કાતિલ ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં ત્રણ-ચાર દિવસમાં ઠંડીનો ચમકારો જોવા મળશે અને એ પછી તબક્કાવાર ઠંડી વધતી જશે. રાજ્યમાં હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વ જિલ્લામાં વહેલી સવારથી ઠંડા પવનોનો અનુભવ જોવા મળી રહ્યો છે.શિયાળાની ગુલાબી ઠંડીનો અહેસાસ સ્થાનિકો કરી રહ્યા છે. વહેલી સવારે અને રાતના સમયે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 3 દિવસમાં 3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતાઓ જણાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવતાં હવે શિયાળાનો પ્રારંભ દેખાઇ રહ્યો છે. બપોરે ગરમી પરંતુ મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ગતરાત્રીના રાજ્યના 12 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જેમાં નલિયામાં 16.3, અમરેલીમાં 16.8, કંડલામાં 16.9, ડીસામાં 17.8, સુરેન્દ્રનગર-મહુવા-અમદાવાદ-કેશોદમાં 18, રાજકોટમાં 18.3, પોરબંદરમાં 18.6, વડોદરામાં 20.3, સુરતમાં 22.4 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના મતે આગામી 4થી 5 દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. આગામી 2થી 3 દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટતાં દિવાળી વખતે ઠંડી વધુ અનુભવાઇ શકે છે. અમદાવાદમાં 18 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે દિવસ દરમિયાન 33.9 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું.