Mysamachar.in-ગાંધીનગર
કોરોના આવ્યો ત્યારથી બધું જ લોક કરવામાં આવ્યું હતું. સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. લોકડાઉન પછી બધું ધીમે ધીમે અનલૉક કરવાની સરકારને ફરજ પડી હતી. અત્યારે તો લગભગ 80% ઉપર બધું સરકારે અનલૉક પણ કર્યું છે. એ બધાની વચ્ચે જેનાં પર ખૂબ સવાલો ઉભા થયા છે અને દરેક વાલીઓને જે પ્રશ્ન સતાવી રહ્યો છે તે છે, ‘શાળાઓ ક્યારે ખૂલશે?’ આ અંગે લાંબા સમયથી અનેક ચર્ચાવિચારણા ચાલી રહી હતી. તેમજ અનેક સવાલો ઉઠ્યા હતા. પંરતુ હવે આ વાત પર પૂર્ણવિરામ લાગ્યો છે.
જે પ્રકારે કોરોના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેનાં કારણે રાજ્યનાં શિક્ષણ વિભાગે એક અતિ મહત્વનો નિર્ણય આ અંગે લઈ લીધો છે કે, દિવાળી સુધી તો શાળાઓ નહીં જ ખૂલે. દિવાળી બાદ પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવાશે.
ગુજરાતમાં દિવાળી બાદ જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ કરવા અંગે સરકાર વિચારણા કરશે તેવું શિક્ષણવિભાગે જણાવ્યું છે. કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં સરકારે કહ્યું છે કે, દિવાળી બાદ પણ રાજ્યમાં કોરોનાની કેવી પરિસ્થિતિ છે તેનાં આધારે શાળાઓ શરૂ કરવા સંદર્ભે શિક્ષણ વિભાગ આગળ ઉપર વિચારણા કરશે. દિવાળી પછી ગુજરાતમાં શાળાઓ ખૂલશે તેવી શક્યતાઓ છે. આવો મહત્ત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. અને અત્યાર સુધીની આ બાબતની તમામ અટકળોનો અંત આવ્યો છે.