Mysamachar.in-ગાંધીનગર:
સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકામાં બામણબોર અને જીવાપર ગામની ૮૦૦ એકર સરકારી જમીનનું ખેતીની જમીન ટોચ મર્યાદા ALCનું ખોટુ અર્થઘટન કરી ખાનગી વ્યક્તીને નામે કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો.જેની રાજ્ય સરકારે ગંભીર નોધ લઇને સુરેન્દ્રનગરના તાત્કાલિન નિવાસી અધિક કલેક્ટર ચન્દ્રકાંત પંડ્યા, ચોટીલાના નાયબ કલેક્ટર વી.ઝેડ.ચૌહાણ અને ઇન્ચાર્જ મામલતદાર જે.એલ.ઘાડવીને તાત્કાલિક અસરથી ફરજ મોકુફના રાજ્યસરકાર દ્વારા આદેશ કરવામાં આવતા રાજયભરના મહેસૂલ કર્મચારી વર્તુળમાં સોંપો પડી ગયો છે,

અત્રે ઉલ્લેખનીય છે કે, જે.એલ.ઘાડવી નાયબ મામલતદાર હોય તેમને ચોટીલા મામલતદારનો ચાર્જ સોંપવામાં આવ્યા બાદ આ જમીન કૌભાંડ આચર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં બામણબોર, નવાગામ(બા), ગુંદાળા, ગારીયા, જીવાપર(બા)નો સમાવેશ રાજકોટ સીટી તાલુકામાં થયેલ હોવા છતાં એક જ દિવસે જમીન સંબંધી ત્રણ હુકમોથી સરકારી જમીનમાં ખાનગી ઇસમોના દાવા દાખલ કરાવી આ વ્યક્તિઓના લાભમાં અને તેમના ખાતે હુકમો દાખલ કર્યા હતા.જેમાં ચોટીલાના તત્કાલિન નાયબ કલેક્ટર વી.ઝેડ.ચૌહાણ અને સુરેન્દ્રનગરના નિવાસી અધિક કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યાની પણ સંડોવણી બહાર આવી છે, ત્યારે સરકારે આ ત્રણેય મહેસૂલી અધિકારીઑને ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે,

આ સમગ્ર ઘટનાક્રમની તપાસ ACBને આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જવાબદાર અધિકારી સામે સેવાશિસ્ત અપીલ નિયમાનુસાર ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરી કડક પગલા લેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.