Mysamachar.in-ગીરસોમનાથ
ગીરસોમનાથ પોલીસની સતર્કતાએ એક બાળકીનું જીવન નર્કાગાર બનતા અટકાવ્યું છે. દોઢ વર્ષની બાળકી સાથે શંકાસ્પદ હાલતમાં યુવક દેખાતા પોલીસે તપાસ કરી હતી. પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીએ ભિક્ષાવૃતિ માટે બાળકીનું 22 ઓક્ટોબરના રોજ નાગપુર રેલવે સ્ટેશન નજીકથી અપહરણ કર્યું હતું. અને અપહરણ કર્યા બાદ ગુજરાતના ધાર્મિક સ્થળોએ ફરતો હતો. જે દરમિયાન પ્રભાસ પાટણ પોલીસે તેને શંકાના આધારે ઝડપ્યો હતો. જે બાદ પોલીસે બાળકીના માતા-પિતા સહિત નાગપુર પોલીસનો સંપર્ક કર્યો છે. બે દિવસ પૂર્વે તા.13 નવેમ્બરની સાંજે સોમનાથ ચોપાટી પર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં દોઢ વર્ષની માસુમ બાળકીને માર મારતો હોવાની પોલીસને જાણ થતા પીઆઈ એન. એમ. આહીર ડીસ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઇ માસુમ બાળકી અને તેને મારનાર શખ્સને પોલીસ મથકે લાવવામાં આવ્યાં હતાં.
શખ્સે બાળકીને બેરહેમીથી માર મારેલો હોવાથી ઇજાઓ પહોંચી હતીં. જેથી માસુમની પોલીસે સારવાર કરાવી હતી. બાદમાં તપાસ કરતાં શખ્સ મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતો સુરજ પ્રકાશરાવ ખીરડકર હોવાનું જાણવા મળ્યુ હતું. આ શખ્સ બાળકી પોતાની હોવાનો પોલીસ સમક્ષ દાવો કરી રહ્યો હતો. જોકે, તેના લગ્ન ન થયાનું હોવાનું પોલીસને જાણવા મળતા એક તબક્કે પોલીસ સ્ટાફ ચકરાવે ચડ્યો હતો.
પોલીસને તેની પાસેથી રેલવેની ટિકિટો મળી આવી હતી. જેથી પોલીસે ગુજરાત -મહારાષ્ટ્રનાં પોલીસ સ્ટેશનમાં જાણ કરી સોશિયલ મીડિયામાં મૂકતા આ બાળકી મૂળ અલ્હાબાદ રહેતા અને હાલ ડીલેવરી માટે નાગપુર આવેલા દીપા પ્રેમ ભારથીની પુત્રી હોવાનું અને તે ગુમ થયાની ફરિયાદ નાગપુર પોલીસમાં ગત તા.22 નાં રોજ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી સોમનાથ પોલીસે નાગપુર પોલીસ સાથે સંપર્ક કરી બાળકીની ઓળખ કરી હતી. બાળકી મળી હોવા અંગે તેના માતા-પિતાને જાણ કરવામાં આવતા માસુમ બાળકીનો કબ્જો લેવા માટે તેના પરિવારજનો સોમનાથ આવવા નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક વિગતો મુજબ ભિક્ષાવૃત્તિ કરાવવા માટે માસુમ બાળકીનું નાગપુર રેલવે સ્ટેશન નજીકથી તા.22ના રોજ અપહરણ કર્યાનું આરોપીએ પોલીસને જણાવ્યું હતું.હજુ આ મામલે વધુ કેટલાક ખુલાસાઓ થાય તો નવાઈ નહિ.