Mysamachar.in-જામનગર:
જામનગરમાં ફ્લાયઓવર નિર્માણના અનુસંધાને કેટલાંક મહત્વપૂર્ણ રસ્તાઓ પર વાહનોની અવરજવર પર જાહેરનામા દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો, જેનો અમલ કાલે બુધવારથી શરૂ થયો. બુધવારે શહેરમાં હજારો વાહનચાલકો ભયાનક ટ્રાફિક જામમાં ફસાયા. અને ટ્રાફિક નિયમન મુદ્દે શહેરમાં જંગલરાજ જેવી સ્થિતિ જોવા મળી.
એક બાબત સ્પષ્ટ છે કે, ફ્લાયઓવર નિર્માણ સંબંધે રસ્તાઓ પર વાહનો માટે પ્રતિબંધ તો લાદવો જ પડે. હાલમાં આ પ્રતિબંધ અંબર ચાર રસ્તાઓ પર છે, જે આગામી સમયમાં ગુરૂદ્વારા ચાર રસ્તાઓ અને ભવિષ્યમાં સાત રસ્તા ખાતે પણ લાદવો જ પડશે. આપણી સૌની કસોટી છે અને આ કસોટીમાંથી પાર ઉતરવા આપણે સૌએ સમજવું જોઈએ.
તંત્રોએ પૂરતી અગમચેતી લીધાં વિના, આગોતરી તૈયારીઓ કર્યા વિના પ્રતિબંધ લાદી દીધો. હવે પ્રતિબંધનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે નગરજનો અને તંત્રએ, હાલની આ પરિસ્થિતિઓમાં શું થઈ શકે, તે વિચારવું જોઈએ.
હાલમાં સૌથી ભયાનક ટ્રાફિક જામ ગુરૂદ્વારા ચાર રસ્તા ખાતે સર્જાય છે. અહીં પોલીસકર્મીઓને નિયમન માટે મૂકવામાં આવે અને તેઓ અહીં થોડી થોડી સેકન્ડ કે મિનિટ માટે વારાફરતી એક એક સાઇડ ખોલે તો સમસ્યા ઘટાડી શકાય. લોકોએ પણ અહીં પોતાના વાહનો સામસામે ખડકી દેવાને બદલે એક સાઇડ સંપૂર્ણ ખુલ્લી રાખવી જોઈએ. આ ઉપરાંત નગરજનોએ શકય હોય ત્યાં સુધી થોડું વધુ અંતર કાપીને અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવો જોઈએ અને નાછૂટકે જ ગુરૂદ્વારા ચાર રસ્તાથી પસાર થવું જોઈએ.
આ ઉપરાંત ગત્ સોમવારથી સૌને ખબર છે કે, અંબર ચાર રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે છતાં અભણ પ્રકારના વાહનચાલકો છેક ત્યાં સુધી ધસી જાય છે ! અને પછી પાછાં વળે છે અને સમસ્યાઓમાં વધારો કરે છે !! સામાન્ય દિવસોમાં તંત્ર અને પ્રજા ટ્રાફિક અને પાર્કિંગ પ્રત્યે બેદરકારીઓ દાખવે છે, પરંતુ કમ-સે-કમ હાલની અસામાન્ય પરિસ્થિતિઓમાં આપણે સૌએ જરૂરી સેન્સના દર્શન કરાવવા જોઈએ, જો આ ટ્રાફિક જામ સમસ્યાઓથી બચવું હોય તો.