Mysamachar.in-જામનગર:
જામનગરમાં ઘણાં સમયથી લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે, કોર્પોરેશન દ્વારા આટલાં બધાં વિકાસકામો ચાલી રહ્યા છે તેમાં નિરીક્ષણ અને ચેકિંગનું શું હોય છે .? આ પ્રશ્નનો ઉત્તર લાખો નગરજનોને શુક્રવારે મળી ગયો. ગતરોજ સવારના સમયે સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા સુભાષબ્રિજ અને સાત રસ્તા વચ્ચે બની રહેલાં ફ્લાયઓવરના, શહેરના સૌથી મોટાં કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
કામની કવોલિટી, સલામતીની કાળજી, કામની ગતિ અને કોર્પોરેશનનું અન્ય સરકારી વિભાગો સાથે સંકલન તેમજ કામના એડવાન્સ પ્લાનિંગ અંગે તેઓએ સૌ સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી. કામના હિસાબો પણ તેઓએ ચકાસી લીધાં. થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન અંગેની શું વ્યવસ્થા છે? તેના રિપોર્ટ વગેરેનું શું છે.? એમ બધી જ બાબતો અંગે તેઓએ બારીકાઈથી જવાબદારો સાથે ચર્ચાઓ કરી. આ તકે પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર પાર્ટીના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતાં. ચેરમેને નિરીક્ષણ બાદ સંતોષ પણ વ્યક્ત કર્યો. અને કામ સમયમર્યાદા પહેલાં પૂર્ણ કરવા તેમજ તહેવારો દરમિયાન લોકોને આ કામને કારણે ઓછામાં ઓછી તકલીફો પડે તે બાબતે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું.
આ નિરીક્ષણ પૂર્ણ થયા બાદ ગણતરીના કલાકો પછી, આ મોટાં કામની સરખામણીએ નાના કામો ગણી શકાય એવા ટાઉનહોલ, ભૂજિયો કોઠો અને ત્રણ દરવાજાના કામોનું ચેકિંગ મેયર, ડેપ્યુટી મેયર તથા દંડક દ્વારા કરવામાં આવ્યું. અને, કામોની ગતિ-ગુણવત્તા તેમજ સેફટી અંગે સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. શાસકજૂથ નેતા જો કે અન્ય વ્યસ્તતાને કારણે આ તકે હાજર રહી શકયા નહીં, એમ જાણવા મળે છે.
આ ચેકિંગ દરમિયાન પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના અધિકારી સાથે હાજર રહ્યા હતાં. તેઓએ ખરેખર તો પદાધિકારીઓના ધ્યાન પર એ વાત મૂકવી જોઈતી હતી કે, શહેરના મહત્વાકાંક્ષી ઘણાં બધાં કામો કાયમી ઈજનેરો સહિતના કુશળ કર્મચારીઓની ઘટ છતાં આગળ વધારવામાં આવી રહ્યા છે. અને સ્કીલ્ડ તેમજ કાયમી કર્મચારીઓ કોર્પોરેશનમાં ભરતી કરવામાં આવે તો કામો વધુ સારી રીતે મોટાં પ્રમાણમાં ઝડપથી આગળ વધારી શકાય. આ મુદ્દો પદાધિકારીઓના ધ્યાન પર મૂકવાની આવશ્યકતા છે.
પદાધિકારીઓએ અલગ-અલગ રીતે, એક જ દિવસે અલગ-અલગ કામોની મુલાકાત લીધી તે બન્ને બાબતો લાખો લોકોના ધ્યાન પર આવી પરંતુ તેનો અર્થ પદાધિકારીઓમાં અત્યારથી જ બે ત્રણ ફાંટા છે એવું અત્યારથી કોઈએ વિચારવું વહેલું ગણાવી શકાય. બધાં જ પદાધિકારીઓ એક જ સમયે આ કામ માટે સાથે ન પણ નીકળી શકે. બધાં પદાધિકારીઓ અનેક પ્રકારની જવાબદારીઓ સંભાળતા હોય છે. કોઈ ચોક્કસ સમયે કોઈ પદાધિકારી સામાજિક કે પારિવારીક કે એવી કોઈ બાબતમાં વ્યસ્ત હોય એવું પણ બની શકે.
એકંદરે બધાં કામોનું શુક્રવારે નિરીક્ષણ અને ચેકિંગ થઈ ગયું એ મોટી વાત છે. નવા પદાધિકારીઓની નજર દરેક નાનામોટાં કામો પર રહે તે જરૂરી બાબત છે. અને આ પરંપરા આવકારદાયક પણ છે. સૌ નગરજનો એવી અપેક્ષાઓ પણ રાખી રહ્યા હોય છે કે, પદાધિકારીઓની દ્રષ્ટિ અને ક્ષમતાઓનો મહાનગરપાલિકાના કામોને લાભ મળે. અને સૌ નગરજનોના હિતોમાં બધાં કામો સારી રીતે પૂર્ણ થાય. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, શહેરમાં વધુ એક પ્રોજેક્ટ કરોડોના ખર્ચે આકાર લેવા જઇ રહ્યો છે. પાછલાં તળાવનું નવિનીકરણ થશે. ત્યારે નગરજનો અપેક્ષાઓ રાખે છે કે, કોર્પોરેશનમાં કુશળ અધિકારીઓ, ઈજનેરો વગેરેની વહેલી તકે ભરતીઓ થાય તો કામો વધુ સારી રીતે થાય તે સુનિશ્ચિત થઇ શકે.