Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકામાં કાલે સોમવારે કમિશનર ડી.એન.મોદીએ નાયબ કમિશ્નર ભાવેશ જાનીને સાથે રાખીને વિવિધ શાખાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું અને કેટલીક જાણકારીઓ મેળવી હતી. આ ચેકીંગ દરમ્યાન જે અધિકારીઓ અને કર્મચારીઓ ‘ગેરહાજર’ મળી આવ્યા હતાં તેઓને નોટિસ આપવામાં આવી છે. અને, ખુલાસાઓ માંગવામાં આવ્યા છે.કમિશનરે સોમવારે TPO, સિવિલ, એસ્ટેટ, વોટર વર્કસ, ડ્રેનેજ સહિતની વિવિધ શાખાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. આ ચેકીંગમાં 2 અધિકારીઓ અને અન્ય 8 નાનાં કર્મચારીઓ હડફેટમાં ચડી ગયા હતાં. કમિશનરે કાલે ચેકીંગ સમયે જ જાહેર કર્યું હતું કે, કચેરીમાં સમયસર હાજર ન રહેતાં અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ચેતવણી માત્ર શાબ્દિક ચીમકી ન હતી. આજે સવારે જાણવા મળ્યું છે કે, કમિશનર કાર્યાલય દ્વારા બે અધિકારીઓ સહિત દસેયને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને ખુલાસાઓ પૂછવામાં આવ્યા છે.
એવું જાહેર થયું છે કે, જેની સામે અગાઉ સનસનીખેજ ખાનગી રીપોર્ટ કમિશ્નરને થયો હતો અને જેના પર શાશકના સભ્યો ભૂતકાળમાં આક્ષેપ કરી ચુક્યા છે અને વિપક્ષ સભ્ય વારંવાર આક્ષેપો કરે છે તે ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જી.જે.નંદાણિયાને પણ નોટિસ આપવામાં આવી છે. નંદાણિયા રજા પર હતાં પરંતુ તેઓએ સોમવારે ફરજ પર હાજર થવાનું હતું. જો કે સરપ્રાઈઝ ચેકીંગ વખતે તેઓ કચેરીમાં હાજર ન મળી આવતાં તેઓનો પણ ખુલાસો પુછવામાં આવ્યો હોવાનું અધિકારી જણાવે છે, તે ઉપરાંત ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મળ પણ હાજર ન હોવાથી તેમને પણ આ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે, આ પ્રકારની નોટિસને કારણે કોર્પોરેશનની શાખાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હવે કર્મચારીઓ અને અધિકારીઓ કેવા પ્રકારના ખુલાસાઓ રજુ કરે છે તે જોવાનું છે.