Mysamachar.in-જામનગર:
પ્રચારનો જિવ હોય, એ મડદાં સાથે ફોટો પડાવવાની તક પણ ન ચૂકે ! રોગચાળા સમયે લાશોના ઢગલા આવાં આગેવાનોની જ અણઆવડત હોય છે, એ પણ સૌ જાણે છે ! કોરોના પ્રકોપ આવી જ એક બિમારી છે, જે કેટલાંક નફ્ફટ લોકો માટે જાણે કે, ઉત્સવ અને જલ્સો ! ફોટાઓ પડાવે, વીડિયો બનાવડાવે અને તેનો પ્રચાર કરે તથા કરાવે ! અરે, આગેવાનો થોડાં તો શરમાઓ. લોકોની સંવેદનાઓની આવી ક્રૂર મજાક ??!!
આગેવાનોને ફોટાઓ પડાવવાની અનેક તકો મળતી હોય છે. કેટલાંક આગેવાનો તો ફોટા પડાવવા, પ્રચારમાં રહેવા- કાર્યક્રમો પણ ઘડી કાઢે, ઉજવે. બધું જ પ્રજાનાં નાણાંથી ! અને, પ્રચાર ખુદનો ! ફોટાઓના મસમોટાં બિલોના ચૂકવણા સરકારી ( અથવા, કોર્પોરેશન જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની) તિજોરીમાંથી થતાં હોય છે ! એટલે આવા આગેવાનોને તો વકરો એટલો નફો !
અગાઉનાં કોરોનાકાળ વખતે પણ આ બેશરમ પ્રવૃત્તિઓ આચરવામાં આવેલી. કોઈ પણ રોગચાળા સમયે, આરોગ્ય સત્તાવાળાઓ એટલે કે મેડિકલ કોલેજના ડીન તથા હોસ્પિટલનાં વડા સહિતના તબીબો દર્દીઓની સારસંભાળ લેતાં જ હોય છે. એ તેમનો વિષય છે. તેઓ નિષ્ણાત અને સંવેદનશીલ હોય છે. તેઓને કોઈ આલિયા માલિયાની સલાહની જરૂર હોતી નથી. અને, આલિયા માલિયાઓને તબીબી વિષયમાં કોઇ જ ટપ ન પડે, એ હકીકત પણ સૌ સમજી શકે એવી બાબત છે.
આ સ્થિતિમાં આગેવાનોએ રોગચાળા સમયે, હોસ્પિટલોની મુલાકાતો લેવાની અને આરોગ્ય સંબંધી દોઢ ડહાપણ કરવાની કોઈ જ જરૂર હોતી નથી. આગેવાનો પોતાની ફરજોમાં ઉણા ઉતરતાં હોય, લોકોએ મુશ્કેલીઓ માટે વર્ષો સુધી આવેદનપત્ર આપવા પડતાં હોય, રજૂઆતો અને આંદોલન કરવા પડતાં હોય – એ બધું ધરાર ભૂલીને, આરોગ્ય સંબંધી પ્રચારમાં રહેવાની, કરદાતા નાગરિકોનાં ખર્ચે પ્રચારમાં રહેવાની માનસિકતા આગેવાનોએ છોડી દેવી જોઈએ એવો અસંખ્ય લોકોનો મત છે. ઘણાં લોકો આગેવાનો અંગે મનમાં અને જાહેરમાં ઘણી એવી પ્રતિક્રિયાઓ પણ આપતાં હોય છે, જે અહીં લખીએ તો સુરૂચિભંગ થવા સંભવ રહે.
આપણાં આગેવાનો સુધરશે કયારે ?! કે, ક્યારેય નહીં સુધરે ?! એવી મશ્કરી પણ લોકો કરી રહ્યા છે !