Mysamachar.in-જામનગર
લોકશાહીનો એક અર્થ પારદર્શિતા છે. અને આ દિશામાં સુપ્રિમ કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટે ઐતિહાસિક શરૂઆત કરી છે. રાજ્યમાં જામનગર સહિતની તમામ જિલ્લા અદાલતોમાં અદાલતી કાર્યવાહીનું જિવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં આ પ્રક્રિયા એક સપ્તાહથી શરૂ થઈ ચૂકી હોવાનું જિલ્લા સરકારી વકીલએ જણાવ્યું છે. જામનગર જિલ્લા અદાલતમાં એક સપ્તાહથી જિલ્લાની મુખ્ય અદાલતની કાર્યવાહીનું જિવંત પ્રસારણ શરૂ થયું છે એમ જિલ્લા સરકારી વકીલ(DGP) જમન ભંડેરીએ Mysamachar.in સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું, હાઈકોર્ટે આ સંબંધે કેટલાંક નિયંત્રણ મૂક્યા છે જે સૌએ જાણવા જરૂરી છે.
રાજ્યનાં તમામ જિલ્લાઓમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ સહિતની તમામ કોર્ટમાં આ શરૂઆત કરી દેવામાં આવી છે. આ માટે અદાલતમાં ફરિયાદી, આરોપી, સાક્ષી વગેરેને માઇક્રોફોન આપવા સહિતની સુવિધાઓ અગાઉ જ ગોઠવી લેવામાં આવી હતી. આ જિવંત પ્રસારણ અદાલતની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. જો કે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ પોતાના અંગત ઉપયોગ માટે વોટ્સએપ વગેરે પર ડાઉનલોડ ન કરી શકે. અને આમ કરવા પર નિયંત્રણ પણ છે. આ કાર્યવાહીનું રેકોર્ડિંગ માત્ર અદાલત જ કરી શકે. કોઈ પણ વ્યક્તિ અથવા મીડિયા આ કાર્યવાહી કોઈને મોકલાવી ન શકે. પોતાની રીતે પ્રસારિત ન કરી શકે. જો કોઈ વ્યક્તિ આ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર મૂકશે તો તેનાં વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જાતીય સતામણીનાં કેસ, પોકસોના કેસ, લગ્ન સંબંધનાં કેસ, બાળક દત્તક લેવાનાં કેસ તથા દુષ્કર્મ જેવાં કેસોનું જિવંત પ્રસારણ કરવામાં આવશે નહીં. અદાલતની ઈન કેમેરા કાર્યવાહી તથા વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કહે તે કેસનું જિવંત પ્રસારણ કરી શકાશે નહીં. આ ઉપરાંત ટર્મિનલ ઓફ પ્રેગ્નન્સી અને ક્રોસ એકઝામિનેશનનાં પુરાવાઓ સહિતની કેટલીક સંવેદનશીલ બાબતો જિવંત પ્રસારણમાં સમાવિષ્ટ કરવામાં આવશે નહીં.