Mysamachar.in-જામનગર:
લોકશાહી રાષ્ટ્રમાં સંસદ મંદિર છે. સંસદ સર્વોપરી છે. સંસદ લોકલાગણી વ્યક્ત થવાનું સૌથી પ્રભાવશાળી અને પ્રબળ માધ્યમ છે. અને, કોઈ પણ મહાનગર માટે સંબંધિત શહેરની મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક (સામાન્ય સભા) તે શહેરની સંસદ છે. જનરલ બોર્ડની બેઠકમાં નગરજનોના મંતવ્યો અને લાગણીઓ તથા અપેક્ષાઓ- વ્યક્ત થાય, એવું આપણે સમજીએ છીએ. પરંતુ વાસ્તવિકતાઓ એ રહી છે કે, જનરલ બોર્ડની બેઠક એટલે ગોકીરો અને દેકારો. ખાધું, પીધું અને રાજ કર્યું ! નગરજનો ઉર્ફે મતદારો આ પ્રકારની સ્થિતિ જોઈ હવે આત્મ નિરીક્ષણ તરફ વળ્યા છે. મતદારો વિચારી રહ્યા છે,આપણે જનપ્રતિનિધિઓને ચૂંટીએ છીએ કોનાં માટે ?!
જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકો મતદારોની નજરમાંથી ઉતરી રહી છે ! લોકોમાં રોષ અને નારાજગીની લાગણી પ્રસરી રહી છે. લોકો હાકલા પડકારા અને તંદુરસ્ત ચર્ચાઓ વિહોણી આવી બેઠકોથી કંટાળો અનુભવે છે. લોકોની અપેક્ષાઓ મોટી છે. જેની સરખામણીએ ચૂંટાયેલા લોકો ઉણા ઉતરી રહ્યા છે. તેથી મતદારો હતાશા અનુભવી રહ્યા છે. એક સમય એવો પણ હતો કે, જનરલ બોર્ડની બેઠકમાં સભ્યો ચર્ચાઓ કરતાં. લોકપ્રશ્નો અંગે ગંભીરતાથી અને તંદુરસ્ત ચર્ચાઓ કર્યા પછી નોંધપાત્ર નિર્ણયો લેતાં. કેટલાંક સભ્યો પુષ્કળ હોમવર્ક કરતાં. કેટલીયે નોંધો બેઠકમાં રજૂ કરતાં. બેઠકમાં પ્રશ્નોતરીનો સમય લાંબો ચાલતો. બેઠકની વિસ્તૃત વિગતો લોકો સુધી પહોંચ્યા પછી, નગરજનો બેઠકોની કાર્યવાહીઓ અંગે વાકેફ થતાં અને સંતોષની લાગણીઓ અનુભવતાં. કમનસીબે, જામનગરમાં આ બધું ભૂતકાળ બની ગયું છે. સાપ જતાં રહ્યા છે, લિસોટાઓ બચ્યા છે !
અત્યારની પરિસ્થિતિ વિશે લોકોનો અભિપ્રાય એવો છે કે, ચૂંટાયેલા કોર્પોરેટરો સંબંધિત મુદ્દાઓ અંગે હોમવર્ક કરતાં નથી. પાયા વિનાનાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો થતાં રહે છે. નગરસેવકો લોકલાગણીઓ અને લોકમુદાઓનો અભ્યાસ કરતાં નથી. કોઈ એકાદ બે પ્રકરણમાં કોઈ નગરસેવકે જરૂરી મહેનત કરી પુરાવાઓ એકત્ર કર્યા હોય, જનરલ બોર્ડની બેઠકમાં મૂક્યા હોય તો પણ, શાસકો દ્વારા કે વહીવટી વડા દ્વારા કોઈ ફોલોઅપ કે પગલાં ભરવામાં આવતાં નથી. મહત્વના મુદ્દાઓ ચર્ચાતા નથી. મોટાભાગના નોંધપાત્ર નિર્ણયો જનરલ બોર્ડની બહાર લેવાઈ જતાં હોય છે, જનરલ બોર્ડની બેઠકમાં બહુમતીએ તથા વિરોધો સાથે આવાં નિર્ણયો મંજૂર થઈ જતાં હોય છે. ટૂંકમાં, જનરલ બોર્ડની બેઠકો જાણે કે કોઈ ફારસ અથવા માત્ર ફોર્માલિટી બનીને રહી ગઈ હોય એવું દેખાતાં નગરજનો ઉર્ફે મતદારોમાં રોષ અને નારાજગી જોવા મળી રહી છે.
-શાસકપક્ષના મોટાભાગના સભ્યો મૂંગા !!
શાસકપક્ષના સભ્યોની સંખ્યા ખૂબ જ મોટી છે. હજારો નગરજનો તેઓ સમક્ષ વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ વ્યક્ત કરતાં હોય તે સમજી શકાય તેવી બાબત છે. આમ છતાં શાસકપક્ષના મોટાભાગના સભ્યો જનરલ બોર્ડની બેઠકમાં ક્યારેય, કશું બોલતાં નથી ! તેઓ પર ‘ વોચ’ હોય છે ?! કે, શાસકપક્ષના સભ્યોનાં કામો બારોબાર અથવા પાછલાં દરવાજે પતી જતાં હોય છે ?! શાસકપક્ષના મોટાભાગના સભ્યોની ચર્ચા માટેની સજ્જતા પણ ચર્ચાનો વિષય લેખાવી શકાય ! એવો પણ મત નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. આપણે સૌ સાથે મળી, હવે આ સ્થિતિએ પહોંચ્યા છીએ !! અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક, ચૂંટણી પહેલાંની અંતિમ બેઠક હતી. તેમાં પણ સૌએ હાકલા પડકારા અને ગોકીરો તથા દેકારો અનુભવ્યો !