Mysamachar.in:જામનગર
જામનગરમાં સાતરસ્તા નજીક આવેલી, ‘ જાડા’ ભવનમાં કાર્યરત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય માટેની કચેરીમાં કંઇક નહીં પરંતુ ઘણું બધું રંધાતું હોવાની આશંકાઓ પ્રબળ બની રહી છે ! આ કચેરીનાં મુખ્ય અધિકારી ઈચ્છે છે કે, તેઓની કચેરીની વિગતો, તેઓની કામ કરવાની ( કે, કામ ઉતારવાની ?!) પધ્ધતિ કચેરીની બહાર ન જાય ! આવું શા માટે ?! તેઓનાં પેટમાં પાપ છે ?! શા માટે માહિતીઓ છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ?! અત્રે નોંધનીય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં હજારો ઉદ્યોગો રાતદિન ધમધમી રહ્યા છે ત્યારે આ કચેરીનાં રેકર્ડ પર માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગ નોંધાયેલા છે, જે અંગેનો વિશેષ રિપોર્ટ માય સમાચાર ડોટ ઈન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારી અકળાઈ ઉઠયા છે !
30મી સપ્ટેમ્બરનાં રોજ માય સમાચાર ડોટ ઈન દ્વારા આ કચેરીનાં મુખ્ય અધિકારી કે.એ. રાવતને પૂછવામાં આવ્યું કે, આપની કચેરી દ્વારા બે વર્ષ દરમિયાન થયેલી કામગીરીઓની તથા કાર્યવાહીઓની વિગતો શું છે ? લોકોની જાણ માટે આ વિગતો અમો લોકો સમક્ષ મૂકવા ઇચ્છીએ છીએ. આમ કહેતાં જ, અધિકારી ઢીલા પડી ગયા ! તેઓનો જવાબ: આ સરકારી વિગતો છે, જાહેર ન કરી શકાય ! ત્યારબાદ માય સમાચાર ડોટ ઈન દ્વારા જયારે તેઓને કહેવામાં આવ્યું કે, જનતા જનાર્દન છે, સૌથી મોટી સરકાર છે ! તેઓથી શા માટે વિગતો છૂપાવી રહ્યા છો ?! આ સરકારી કચેરી છે, ખાનગી પેઢી નથી. આમ કહેવામાં આવતાં જ, અધિકારીએ હાથ જોડ્યા અને કહ્યું, ઘણી વિગતો રેકર્ડ પર અપડેટ ન પણ થઈ હોય, એટલે અમે વિગતો આપી શકીએ નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ સરકારી કચેરી અથવા કોર્પોરેશન સહિતની પ્રજા સંબંધી ( કરદાતા નાગરિકોને સ્પર્શતી) કોઈ પણ વિગતો, કોઈ પણ અધિકારી ખાનગી રાખી શકે નહીં, અધિકારીઓ પબ્લિક સર્વન્ટ છે, તેઓ કચેરીનાં માલિક નહીં, માત્ર મેનેજર છે. આ હકીકતનું ભાન ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીને કરાવવામાં આવ્યું છે. આ કચેરી ખૂબ જ શાંત રીતે પોતાનો વિશાળ ‘ વહીવટ’ ચલાવી રહી છે. કોઈ તેઓની કાર્યપદ્ધતિ તપાસે, એ વાત તેઓને મંજૂર શા માટે નથી ? આ કચેરીએ છૂપાવવા જેવું શું છે ?! આ કચેરી યોગ્ય રીતે કામ નથી કરતી ?! વગેરે પ્રશ્નો, મુખ્ય અધિકારીનાં વર્તનને કારણે સપાટી પર આવી ચૂકયા છે !