Mysamachar.in-જામનગર:
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જયારે વિપક્ષ અવાજ ઉઠાવે તો એવું કહી દેવામાં આવે છે કે આ વિરોધ ખોટો છે અથવા વિપક્ષનું કામ જ આવું કરવું છે, પણ જનતાના હિતની વાત હોય સંસ્થાના હિતની વાત હોય ત્યારે ખુદ શાશકપક્ષના પદાધિકારી જ અવાજ ઉઠાવે અને મુખ્યમંત્રી સુધી મામલો લઇ જાય તો..આ વાત બિલકુલ વાસ્તવિક છે અને જામનગર મનપાના હાલના ડેપ્યુટી મેયર તપન પરમારે મુખ્યમંત્રીને પત્ર લખી અને મનપામાં સરકારના નિયમોનો ઉલાળિયો થાય રહ્યો છે ત્યારે શું કોઈ પગલા લેવાશે ખરા..?
જામનગર મહાનગરપાલિકામાં સને 2015 ના જનરલ સેટઅપ મંજૂર થયેલ અને મંજૂર થયેલ સેટઅપમાં નિયત થયેલ લાયકાત અનુસાર ભરતી અને બઢતી કરવાની રહે છે. જેની સામે 2015 થી અત્યાર સુધીમાં સેટઅપ થી વિરૂધ્ધ ભરતી બઢતી કરવામાં આવેલ છે.જામનગર મહાનગરપાલિકામાં ભરતી બઢતી ના કોઈ જ નિયમો મંજૂર થયેલ નથી. આ ઉપરાંત સિનિયોરીટી ના નિયમો પણ કોઈ જ મંજૂર થયેલ નથી તેમજ રોસ્ટર રજીસ્ટરો પણ સરકારના નિયમો અનુસાર ના બનાવેલ ન હોય અને આ બાબતે સરકાર દ્વારા પણ સાચા રોસ્ટર રજીસ્ટરો બનાવી રજૂ કરવા જણાવેલ હોય તેમ છતાં પણ વહિવટ ધ્વારા પાછલા બારણે થી લાગતાં-વળગતાંઓને ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે. મંજૂર થયેલ સેટઅપમાં સિસ્ટમ એનાલીસ્ટ ક્મ સિનિયર પ્રોગ્રામર માટે સીધી ભરતીથી જ લાયકાત મંજૂર થયેલ છે. બઢતી માટેના કોઈ જ ધોરણો નિયત થયેલ નથી. તેમ છતાં પણ આ જગ્યા ઉપર બઢતી આપવામાં આવેલ છે. એ જ રીતે ડેપ્યુટી ચીફ ફાય૨ ઓફીસરમાં પણ સીધી ભરતીથી જ ભરવા લાયકાત નિયત થયેલ છે, તેમ છતાં પણ આ જગ્યા ઉપર બઢતી આપવામાં આવેલ છે.
સને 2015 થી અત્યાર સુધી સીનીયર કલાર્ક, સ્ટે. આસીસ્ટન્ટ, સિસ્ટમ એનાલિસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર, જુનીયર એન્જીનીયર, નાયબ ઈજનેર, એવી અનેક પોસ્ટ ઉપર બઢતીઓ આપવામાં આવેલ છે. જેમાં કયાંય પણ સીધી ભરતી અને બઢતી નો રેશિયો જાળવવામાં આવેલ નથી. રોસ્ટર ક્રમાંક ધ્યાનમાં લેવામાં આવેલ નથી. સિનિયોરીટી લીસ્ટ પણ ધ્યાનમાં લેવામાં આવેલ નથી.જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતાં કર્મચારીઓને અન્યાય કરી લાગતા વળગતાઓને પાછલે બારણેથી ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે. આ બાબતે ધો૨ણસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ત્યા૨બાદ સાચી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે, સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર ની જગ્યા ઉપર આપવામાં આવેલ બઢતી રદ કરવા માંગ કરાઈ છે, અને તેની વિસ્તૃત વિગતો કમિશ્નર પાસેથી માગવામાં આવી છે,
પ્રોગ્રામર તરીકે ફરજ બજાવતાં જાહનવી એમ. ઠાકરને સિસ્ટમ એનાલીસ્ટ ક્રમ સિનીયર પ્રોગ્રામર તરીકે બઢતી આપવામાં આવેલ છે. આ બઢતીએ ગેરકાયદેસર હોય ત્વરીત અસ૨થી આ હુકમ રદ કરવા પણ માંગની કરવામાં આવી છે, જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ ધ્વારા જનરલ સેટઅપ મંજૂર થયેલ છે જેમાં સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પોગામર એ માત્ર ને માત્ર ભરતી જ ભરવા બાબતે ના ધોરણો અને લાયકાત નિયત થયેલ છે. બઢતી થી જ ભરવા બાબતેના કોઈ જ ધોરણો અને લાયકાત નિયત થયેલ નથી. તેમ છતાં પણ આ જગ્યા બઢતી થી ભરવામાં આવેલ છે.પ્રોગામરને સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામરની જગ્યા ઉપર કયા ધો૨ણે પ્રમોશન આપવામાં આવ્યુ. તેઓની કામગીરીનું મુલ્યાકન કોના દ્વારા કરવામાં આવ્યું કેમ કે, જામનગર મહાનગરપાલિકાનો રેકર્ડ અનુસાર પ્રોગ્રામર દ્વારા એવું જ કોઇ જ એક્સ્ટ્રા ઓર્ડીનરી કામ કરેલ હોય તેવું જણાતું નથી.
-મુખ્યમંત્રીને લખેલ પત્રમાં ડેપ્યુટી મેયરે ગંભીરતાથી લખ્યું છે કે….
જામનગર મહાનગરપાલિકામાં નિવૃત કર્મચારીઓ અને અધિકારીઓને ફરી કોન્ટ્રાકટ બેઇઝમાં કમિશ્નરની નોંધ અને સ્ટે.કમિટીની મંજુરીથી નિમણુંક આપવામાં આવે છે તે સંદર્ભના સરકારના પરિપત્રમાં સ્પષ્ટ દર્શાવવામાં આવેલ છે કે, નિવૃત કર્મચારીઓને ફરીથી પુનઃ નિયુકતિ, કોન્ટ્રાક્ટર બેઇઝ/ફીક્સ પગાર/આઉટ સોર્સીંગ થી નોકરી પર પુનઃ લેવામાં આવે ત્યારે સરકારના લગત વિભાગની જરૂરી પૂર્વ મંજુરી મેળવ્યા બાદ જ તેઓને આવી નિમણુંક આપી શકાય. આવું સ્પષ્ટ ગુજરાત સરકારના પરિપત્રમાં ઉલ્લેખ કરેલ છે. તેમ છતાં આવી નિમણુંકો આપવા અંગેની કાર્યવાહી જામનગર મહાનગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી ચાલું છે. જો આ કર્મચારી/અધિકારીની જરૂરીયાત હોય તો કયા કારણોસર સરકારની પૂર્વ મંજુરી લીધેલ નથી.
આ અંગે સરકારના પરિપત્ર અનુસાર કોઇપણ જાતની પૂર્વ મંજુરી લીધેલ ન હોય તેવું સ્પષ્ટ જણાય છે. તો આ બાબતે આપના લેવલે તાત્કાલિક સંદર્ભના પરિપત્રની અમલવારી કયા કારણોસર જામનગર મહાનગરપાલિકામાં થતી નથી. અને આ સરકારની પૂર્વ મંજુરી વગર પુનઃ નિયુક્તી કોન્ટ્રાક્ટ બેઇઝ/કરાર આધારીત/આઉટ સોર્સીંગથી જે-જે કર્મચારી અધિકારીને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે નિમણૂંક આપેલ હોય, તે રદ થવાને પાત્ર હોય તાત્કાલિક ધોરણે મુખ્યમંત્રી કાર્યાલયથી કાર્યવાહી થાય તેવી માંગની કરી છે.