Mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા વોર્ડ નંબર 11 માં ગટરોની અલગ અલગ સમસ્યાઓ જેમ કે ભૂગર્ભ ગટર, ઓપન ગટર અને પાઈપ ગટર સહિતના મામલે કમિશનરને પત્ર લખી વિસ્તૃત છણાવટ સાથેની રજૂઆત કરી હતી જે બાદ આજે મ્યુ.કમિશ્નર વિજયકુમાર ખરાડીએ ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર અમિત કણસાગરા, કાનાણી સહિતની ટીમ સાથે સ્થળ પર આ વિસ્તારના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર તપન પરમારને સાથે રાખીને સમસ્યાને લગત સમીક્ષા કરી અને જરૂરી સૂચનાઓ આપી અને યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે ડેપ્યુટી મેયર તપન પરમાર દ્વારા થોડા સમય પૂર્વે કમિશ્નરને સંબોધીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભુગર્ભ ગટરના કામ બાબતે વોર્ડ નં.11માં ડી.આર.અગ્રવાલ દ્વારા જે ભુગર્ભ ગટરનું કામ કરવામાં આવેલ આ કામ બાબતે પૂર્વ કોર્પોરેટર જશરાજભાઇ પરમારએ અનેક ફરીયાદો કરેલ છે. તેમજ જે તે વખતના મેયર તેમજ વિરોધપક્ષ દ્વારા ઉપરોકત કામ નબળી ગુણવતા બાબતે રોજકામ પણ કરવામાં આવેલ છે. વધુમાં 2005 થી 2021 સુધી ભુગર્ભ ગટરનું લાઇન લેવલ ચેક કરવામાં આવેલ નથી તેમજ ગેપપીસ પણ મુકવામાં આવેલ નથી અનેક વખત રજુઆતો કરવા છતાં ભુગર્ભ ગટરનું કામ નબળી ગુણવતાનું કરવામાં આવેલ છે.તેમજ ભુગર્ભ ગટરના ગંદા પાણીના નિકાલ અંગે પણ હજુ સુધી કોઇપણ કાર્યવાહી લગત શાખા દ્વારા કરવામાં આવેલ ન હોય સહિતના મુદ્દાઓને સંબોધતી રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી હતી.જે રજૂઆત અને હવે કમિશ્નર સહિતના અધિકારીઓની મુલાકાત બાદ આ વિસ્તારમાં આ ગંભીર સમસ્યાનો નિવેડો આવશે તેમ જાણવા મળી રહ્યું છે.