Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયતમાં કેટલાક માથા કાઢી ગયેલા અધિકારીઓ અરજદારો તો ઠીક પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જેવા કે જીલ્લા પંચાયતના સભ્યો કે ચેરમેન અરે ત્યાં સુધી કે ચુટાયેલા ધારાસભ્યોને પણ જવાબ નથી આપતા અને અધિકારી રાજ ચાલવતા હોવાનું અને પોતાની મનમાની કરતા હોવાનો સુર આજે મળેલ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં સામે આવ્યો, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે બાંધકામ વિભાગના અધિકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
જામનગર જીલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા સભાગૃહ ખાતે મળી હતી, આ સભામાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા અને કમનસીબી એ કહેવાય કે પ્રજા જેને વર્ષોથી ચુંટી કાઢે છે તેવા સીનીયર ધારાસભ્યને સરકારી અધિકારીઓ જવાબ ના આપે તે બાબત ખુબ જ દુખદ કહી શકાય તેવી છે, ધારાસભ્ય રાઘવજી પટેલે આજે સભામાં પંચાયત પ્રમુખ અને જીલ્લા વિકાસ અધિકારીને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સામે કડક કાર્યવાહી કરવાનું સૂચન પણ કર્યું હતું,પટેલે માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર રમણલાલ ડામોરની કાર્યપ્રણાલી સામે રોષ વ્યક્ત કરી અને ધારાસભ્ય તરીકે પોતે ફરિયાદ સંકલન સમિતિમાં આ અધિકારીની કાર્યપ્રણાલી અંગે રજૂઆત કરી તો અધિકારી તેમને એટલે કે ધારાસભ્યને શ્રાપ આપતા હોવાનું જણાવ્યું હતું, વધુમાં લોકોના પ્રશ્નોની ટેલીફોનીક કે લેખિત રજૂઆત છતાં પંચાયતનો બાંધકામ વિભાગ જવાબ ના આપતો હોવાનો ખુલ્લો આક્ષેપ રાઘવજી પટેલે કરતા ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.
માર્ગ મકાન વિભાગના અધિકારી પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવતા નથી તેની સામે કડક પગલા લેવા માંગ કરી જામનગર ગ્રામ્યના કેટલાક મંજુર થયેલ રસ્તાના કામો થતા નથી ચુંટાયેલ પ્રતિનિધિ તરીકે અમારે તે વિસ્તારમાં જવું કઠીન બની જાય છે, રાઘવજી પટેલ ઉપરાંત કેટલાક સભ્યોએ પણ બાંધકામ વિભાગના અધિકારીની કાર્યપ્રણાલી અને સબ્યોને ગાંઠતા ના હોવાની રજૂઆત કરતા મામલો થાળે પાડવા માટે ખુદ પ્રમુખ ધરમશી ચનીયારાએ આ મામલે આવતી સામાન્ય સભા સુધીની એક તક આપવા અને જો અધિકારીઓમાં ફેરફાર ના થાય તો પગલા લેવાની બાહેંધરી આપી હતી તો જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે પણ ધારાસભ્ય અને સભ્યોની રજુઆતને ગંભીરતાથી લઈને અધિકારીઓ અને પદાધિકારીઓ અને સભ્યોને સાથે રાખીને પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં ટૂંક સમયમાં નિકાલ આવે તેની ખાતરી આપી હતી.