Mysamachar.in-જામનગર
માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનાં ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ-2007 તળે કાલાવડમાં રહેતા મંજુલાબેન મનસુખભાઈ અણદાણીએ પોતાની માલિકીનું મકાન જામનગર શહેરમાં ગોકુલનગર, નારાયણનગર, સરસ્વતિ સ્કુલ સામે પોતાની સ્વપાર્જીત રકમમાંથી મકાન ખરીદ કરેલ અને તેઓ પોતે કાલાવડ મુકામે નોકરી કરતા હોય રીટાયર્ડ થયે પોતાની રીટાયડમેન્ટની જીંદગી જીવવા માટે ત્યાં રહેવા માટે લીધેલ હતું.
કાલાવડમાં પોતે નોકરી કરતા હોય તેણીનાં જામનગર મુકામે તેના બને પુત્રો ભાડે મકાનમાં રહેતા હોય, તેથી તેણીએ પોતાના મકાનમાં બને પુત્રોને રહેવા માટે ચાવી આપી દીધેલ સને-2019 ની સાલમાં તેઓ રીટાયર્ડ થતા જામનગર મુકામે પોતાનાં ઘરે રહેવા આવતા તેના બન્ને પુત્રો તથા તેમની પુત્રવધુઓએ ઘરમાં પ્રવેશ કરવા દીધેલ નહિ અને ત્યાંથી તરછોડી ઘરની બહાર કાઢી દીધેલ ત્યારબાદ પોલીસ ફરીયાદ કરવા છતાં તેનો કોઈ આગળની કાર્યવાહી થયેલ નહિ અને ઘરમાં પ્રવેશ મળેલ નહિ.
મકાન ખાલી કરાવવા સબબ મંજુલાબેને પોતાના વકિલ નીતલ એમ.ધ્રુવને સંપર્ક કરતા “માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ-2007” તળેના નવા કાયદા મુજબ જામનગરનાં સબ-ડિવિઝન મેજીસ્ટ્રેટ જામનગર શહેર આસ્થાબેન ડાંગરની કોર્ટમાં અધિનિયમોની કલમો હેઠળ કેસ દાખલ કરેલ અને તે કેસ ચાલી જતાં જામનગરનાં ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવની તમામ દલીલો ધ્યાને લઈ મોટો પુત્ર કેતનભાઈ મનસુખભાઈ અણદાણી તથા પુત્રવધુ ડીમ્પલબેન કેતનભાઈ અણદાણી તથા બીજા પુત્ર કિશનભાઈ મનસુખભાઈ અણદાણી તથા પુત્રવધુરવિનાબેન કિશનભાઈ અણદાણી ના માતા મંજુલાબેન મનસુખભાઈ અણદાણીનો મકાનનો ખાલી બજનશ કબજો મેળવવા અંગેની અરજી ગ્રાહય રાખી રહેણાંકનું મકાન પુત્રો તથા પુત્રવધુઓએ તા. 31-07-2021 સુધીમાં ખાલી કરી આપવાનું અને જો તે તારીખ મુજબ મકાનનો ખાલી કબજો સુપ્રત ન કરે તો મામલતદાર જામનગર શહેર મિલ્કતનો કબજો પોલીસ ઇન્સ્પેકટર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, પોલીસ બંદોબસ્ત સાથે રાખી મકાનનો ખાલી બજનશ કબજો માતાને પુત્રો તથા પુત્રવધુઓ પાસેથી અપાવી સુપ્રત કરી આપવાનો ગુજરાત ખાતે આ અધિનિયમ હેઠળ જામનગરમાં પ્રથમ ચુકાદો ફરમાવેલ છે.