Mysamachar.in-જામનગર
જામનગર શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ અસહ્ય છે એવું નથી કે મહાનગરપાલિકા એ જાણતું નથી પણ કાઈ કરતુ નથી તે વાત અલગ છે અને જે કરે છે તે થોડું ઘણું કરી અને વાહવાહી લૂટવા સિવાય કશું નક્કર કરવાની દિશામાં મનપા ક્યારે આગળ વધશે તે ખબર નથી તાજેતરમાં જ મનપાની ચુંટણી વખતે શહેરીજનોને ઠંડક માત્ર થાય તે માટે ચુંટણી ઢંઢેરામાં ભાજપ દ્વારા અન્ય શહેરો જ્યાં રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ ઓછો હોય તેનો અભ્યાસ કરી અને તે પદ્ધતિ જામનગરમાં અમલી કરવા તરફ આગળ વધવામાં આવશે તેવી વાતો માત્ર કરી હોય તે દિશામાં કાઈ આગળ થયું હોય તેવું લાગતું નથી કારણ કે જો થયું હોય તો જાહેર તો થાય જ ને…..
એવામાં આજની તારીખે પણ શહેરમાં રસ્તે રજળતા પશુઓનો ત્રાસ કેવો અને કેટલો છે તે અહી લખવાની જરૂર નથી કારણ કે જામનગર શહેરના રસ્તા પરથી નીકળતા લોકો તે સારી રીતે જાણે જ છે છતાં મનપાના સોલીડ વેસ્ટ વિભાગે જાણે બહુ મોટી કામગીરી કરી હોય તેમ એક અખબારી યાદી જાહેર કરીને જશ ખાટવાનો ખોટો પ્રયાસ કર્યો હોય તેમ લાગે છે, મનપાના સોલીડ વેસ્ટ વિભાગના નાયબ ઈજનેર દ્વારા જાહેર કરેલ યાદી પર અક્ષરશ: નજર કરવામાં આવે તો….
જામનગર મહાનગરપાલિકા શહેરમાં ૨ખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છેલ્લા એક અઠવાડીયામાં 100 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. આથી ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે. જાહેર રોડ રસ્તા ઉપર ખાનગી માલિકીના ઢોરો પકડવાના કિસ્સામાં આ ઢોરોને છોડવામાં નહી આવે, તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલિસ ફરીયાદ દાખલ કરવામાં આવશે. જેની દરેક ઢોર માલિકે નોંધ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા જાણ કરવામાં આવે છે.
હવે લોકોનો અભિપ્રાય એવો છે કે મનપાના માત્ર આવી યાદીઓ જાહેર કરી બેસી જાય પણ ખરેખર રસ્તે રઝળતા પશુઓના મામલે નક્કર કાર્યવાહી કરી અને દાખલો બેસાડે અન્યથા નિર્દોષ લોકો આવા રસ્તે રઝળતા પશુઓના ભોગ બને છે જેમાં ક્યારેક મોતને તો ક્યારેક હોસ્પીટલના ખાટલા સુધી પહોચતા હોવાના દાખલા જામનગરમાં ભૂતકાળમાં પણ સામે આવી ચુક્યા છે.