Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકા કહેવાથી તો રાજ્યની મહાનગરપાલિકાઓ પૈકીની એક છે પણ સ્થિતિ નગરપાલિકા કરતા પણ ખરાબ છે, કારણ કે સ્ટાફથી માંડીને ગ્રાન્ટો સહિતના અભાવ અને કર્મચારીઓ અને અધિકારીઓમાં આંતરિક છૂપો રોષ કારણભૂત છે, (હા એ સરકારી કર્મચારીઓ છે એટલે સામે આવીને ખુલ્લો વિરોધ નથી કરી શકતા પણ બધું જાણે છે) જામનગર મનપામાં અધિકારીઓ અને કર્મચારીઓને કામનું એટલું ભારણ છે કે કેટલાય તો ભારણને કારણે કેટલીય બીમારીઓથી પીડાઈ રહ્યા છે. કેટલાય વિભાગ એવા છે જેમાં એક-એક અધિકારીને એકથી વધુ વિભાગના ચાર્જ થોપી દેવામાં આવ્યા છે, અને તેના કારણે જેને આવડત હોય તે તેનો લાભ લે છે પણ સામે કામોમાં પણ વેઠ ઉતરે કારણ કે બધી જગ્યાએ અને બધા ચાર્જ પર એક વ્યક્તિ ક્યારેય ખરો ના ઉતરી શકે ખાસ જયારે સરકારી વિભાગ હોય…
જામનગર મહાનગરપાલિકામાં નવા અધિકારીઓની ભરતીઓ નથી થતી… કેટલાય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે અન્યાય થાય છે તેવું કહેવાય છે કારણ કે તેને સમયે પ્રમોશન નથી મળતા અને જો પ્રમોશન જોઈતું હોય તો મનપા બહારની એક ખાસ “વહીવટ”ની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેવું સાંભળવા મળે છે, ને જો તે પ્રક્રિયામાં અધિકારી કે કર્મચારી પાસ થાય તો જ પ્રમોશન મળે છે,.આવું સાંભળવા મળે છે.? જો આ વાત સાચી હોય તો કેટલું શરમજનક કહેવાય..?
તાજેતરમાં જ ટેકનીકલ યુનિયને પણ પોતાની વાજબી માંગણીઓ કમિશનરને સાદર કરી છે, હવે તેનું શું થાય છે તે જોવાનું છે પણ કર્મચારીઓ અને અધિકારીઓને પ્રમોશન અને ભરતીનો મુદ્દો ગઈકાલે મળેલ સામાન્ય સભામાં પણ ગાજ્યો જેમાં એક વિપક્ષ સભ્ય દ્વારા મનપામાં કેટલાય વિભાગો એવા છે જેમાં એક જ અધિકારીને એક થી વધુ ચાર્જનું ભારણ આપવામાં આવતું હોવાનું કહી મનપામાં નવી ભરતી કરવામાં આવે અને બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે ગઈકાલે સામાન્યસભામાં મનપાની વિવિધ સમિતિઓના ચેરમેનો અને સભ્યોની વરણી કરવામાં જેટલી ઉતાવળ મનપાએ કરી તેટલી જ ઉતાવળ ખરેખર અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં પણ કરવી જોઈએ તો શહેરનો વિકાસ અને આવતી ગ્રાન્ટોનો સદુપયોગ અને થઇ રહેલા વિકાસના કામો પર યોગ્ય નજર રહી શકે…હા કેટલાય બિચારા અધિકારીઓ જેના છેડા નથી તે પ્રમોશનની રાહ જોઇને બેઠા છે તો વગવાળા અને કઈક કરી શકે તેમ હોય તેને સામેથી બોલાવી બોલાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે તે મનપામાં સૌ જાણે છે.જે હોય તે પણ મનપાએ લાંબા સમયથી કેટલીય જગ્યાઓ ખાલી છે તેને લઈને સત્વરે વિચારવું જોઈએ કારણ કે આ કોઈ વ્યકિતગત નહિ પણ છેલ્લે તો શહેર માટેની જ વાત છે.