Mysamachar.in-જામનગર
ગતરોજ જામનગર ખુબ જ ચર્ચામાં રહ્યું હતું અને એ ચર્ચા પાછળનું કારણ ગઈકાલે 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સૌ કોઈની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલી પાઘડી પર હતી. જામનગરની ખાસ બાંધણીમાંથી બનેલી આ પાઘડીએ સૌનું ધ્યાન એની તરફ આકર્ષિત કર્યું હતું. રાજવી પરિવાર માટે પાઘડી બનાવતા જામનગરના ફોક આર્ટિસ્ટ વિક્રમસિંહ જાડેજા જણાવ્યું હતું કે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી બનાવેલી પાઘડી ભેટ કરી હતી અને જ્યારે ગઈકાલે તેમણે આ પાઘડી પહેરી હતી. અને જામનગરનું ગૌરવ વધ્યું હતું, ત્યારે આજે બીજા દિવસે જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ પોતાનો એક સંદેશ આપ્યો છે, જે અક્ષરશ:આ મુજબનો છે.
જામનગરના દરબારોને હું કહેવા માંગું છું કે તમે જુઓ આપણા વડાપ્રધાન કે જે નથી દરબાર અને નથી હાલારી પણ તેમ છતાં એમને પાઘડી માથા ઉપર બાંધી અને ઓફિસિયલ કાર્યક્રમમાં હાજરી આપી. હું એમ માનું છું કે એમને આપણા ઇતિહાસમાં જોયું હશે કે મુસલમાન સિપાહીઓ સાફો બાંધતા અને હિંદુ લડવૈયાઓ નોખી-નોખી જાતની પણ હંમેશા પાઘડી બાંધતા. દાખલા તરીકે આપણે સૌરાષ્ટ્રમાં માત્ર જુનાગઢ, માંગરોળ અને માણાવદરના સિપાહીઓ સાફો બાંધતા. બીજા બધાય રજવાડાના સિપાહીઓ પાઘડી બાંધતા. તો હવે આપણા યુવકો, ખાસ કરીને દરબારજુવાનીયાઓ ક્યારે જાગશે? આપણા વડાપ્રધાનના દાખલા ને માન તો આપો.:જામસાહેબ