Mysamachar.in-જામનગર
છોટી કાશી જામનગરમાં કોરોનાના સંકટના આ સમયના પગલે રધુવંશી સમાજ દ્વારા જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ પ્રતિ વર્ષ યોજાતો રધુવંશી સમાજનો સમૂહ ભોજનનો કાર્યક્રમ તેમજ હાપા સ્થિત મંદિરે અને સાધના કોલોનીમાં જલારામ મંદિરે આ પ્રસંગે યોજાતા સમૂહ આરતી અને સમૂહ ભોજનના કાર્યક્રમો મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. છોટી કાશી તરીકે ઓળખ ધરાવતા જામનગર શહેરમાં પ્રતિવર્ષ કારતક સુદ-7ના દિવસે જલારામ જયંતિની ઉજવણી રધુવંશી સમાજ દ્વારા ભક્તિભાવ સાથે ધામધુમથી કરવામાં આવે છે.
આ ઉજવણી કરતી સંસ્થા જલારામ જયંતિ મહોત્સવ સમિતના જીતુભાઈ લાલના જણાવ્યા પ્રમાણે આ પ્રર્વતમાન દિવસોમાં કોરોના મહામારીનું સંકટ હજુ પણ દૂર થયું નથી. ત્યારે હજારોની સંખ્યામાં એકઠા થવું ઉચિત નહીં હોવાથી આ વર્ષે જામનગરમાં જલારામ જયંતિ પ્રસંગે યોજાતા લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન તથા હાપા સ્થિત જલારામ મંદિર તેમજ સાધના કોલોની જલારામ મંદિર ખાતેના સમૂહ આરતી-સમૂહ ભોજનના કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા છે.
પરંતુ પૂ. સંત જલારામબાપા પ્રત્યેની આસ્થાના પ્રતિકરૂપે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આ વર્ષે જલારામ જયંતિના અવસરે તા.21/11/2020ના સવારે લોહાણા મહાજનવાડી (પંચેશ્વર ટાવર પાસે) ખાતે સમગ્ર સમાજ વતી આયોજક સંસ્થાના સભ્યો દ્વારા પૂ.જલારામબાપાની આરતી કરવામાં આવશે તેમજ શહેરની પાંજરાપોળમાં અબોલ ગાયોને ઘાસચારો તથા લાડુ આપીને પ્રતિકાત્મક રીતે ઉજવણી કરવામાં આવશે.
એ જે રીતે જલારામ જયંતિના દિવસે હાપા સ્થિત જલારામ મંદિર તથા સાધના કોલોની સ્થિત જલારામ મંદિર પર કાર્યકર સભ્યો દ્વારા સંધ્યા આરતી કરીને સમસ્ત વિશ્ર્વ કોરોનાથી વ્હેલી તકે મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે તેમ જલારામ જયંતિ મહોત્સવ સમિતના જીતુભાઈ લાલની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.