Mysamachar.in-જામનગર
mysamachar ના વ્યુઅર્સ માટે ટીપી એટલે કે ટાઉન પ્લાનીંગ સ્કીમ નગર આયોજન યોજનાની સરળ વિગત પ્રસ્તુત કરાઇ છે, કેમકે આ ગુંચવણવાળી પ્રક્રિયા નાગરીકો જાણે તે જરૂરી છે જોકે સરકારી હેતુ સાચી રીતે સર થાય છે કે નહી તે નક્કી કરવાનુ આ સ્કીમના કાયદા હેતુ નિયમ લાભ વગેરે જાણી વ્યુઅર્સ ઉપર છે, વિકસતા જતા સીટી વિસ્તાર તથા અર્બન એરીયામાં ટી.પી.સ્કીમો લાગુ પાડવા માટેનો નિર્ણય ગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતા તરફથી લેવામાં આવે છે. તે બાબતે જેતે શહેરના કમિશ્નર તથા અર્બન વિસ્તારના અધિકારીને જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ ઓફીશિયલ જાહેરાત કરવામાં આવે છે.
ટી.પી.સ્કીમ લાગુ પાડવા બાબતે લોકલ ઓથોરીટી તે બાબતેની જાહેરાત પેપરોમાં તથા તેની ઓફિસના નોટિસ બોર્ડ દ્વારા જણાવવામાં આવે છે. જે તે વિસ્તારમાં ટી.પી.સ્કીમ લાગુ પાડવા બાબતે જાહેરાત થયા બાદ જે તે વિસ્તારના વિકાસ પ્લાનોની મંજૂરીનું કામ સ્થગીત કરવામાં આવે છે. ચાલુ ટર્નીગ ફાઈલોને તત્પૂરતી અટકાવામાં આવે છે તથા નવા વિકાસ પ્લાનોની ફાઈલો લેવામાં આવતી નથી. મંજૂર થયેલ વિકાસ પ્લાનોને કોઈ બાધ આવતો નથી.
ટી.પી.સ્કીમ લાગુ પાડવા બાબતે અગાઉથી જે-તે વિસ્તારનો સર્વે કરવામાં આવે છે અને સદરહુ વિસ્તારમાં કેટલા પ્લાનો મંજૂર થયેલા છે, કેટલા બાંધકામો ચાલુ છે, કેટલા બાંધકામો પૂર્ણ થયેલા છે, કેટલી જમીન ખુલ્લી છે, કેટલી જમીન પર કાયદેસર કે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, જે તે વિસ્તારના હયાત રસ્તાઓ, સોસાયટીના રસ્તાઓ તથા જે-તે સોસાયટીના સી.ઓ.પી. તથા સોસાયટીમાં પ્લોટો પર થયેલા બાંધકામ કે ખુલ્લા પ્લોટોની પરિસ્થિતિનો સર્વે કરીને પ્લાનો બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં ટી.પી.સ્કીમ ડેવલપ કરવા માટેનું પ્લાનીંગ કરવામાં આવે છે. તેને પ્રપોઝડ ટી.પી.સ્કીમની કાર્યવાહી કહેવામાં આવે છે.
-ટી.પી.સ્કીમની કાર્યવાહીમાં આ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે
1. જે જમીન ખાલી હોય અથવા જેની ઉપર બાંધકામ થઈ ચુકયુ હોય તો તેનું રેખાંકન કરવું.
2. નીચાણમાં આવેલા કાદવ-કચરાવાળા અથવા આરોગ્યને હાની કરે તેવા વિસ્તારોની પુરણી કરવી અથવા જમીન નવસાધ્ય કરવી અથવા જમીનને સમતલ કરવી.
3. નવા રસ્તા કે માર્ગોનું રેખાંકન કરવું રસ્તા અને માર્ગો બનાવવા, ફેરવવા, વિસ્તૃત કરવા, તેમાં ફેરફારો કરવા, સુધારવા અને અવ્યવસ્થિત માર્ગ બંધ કરવા.
4. માર્ગો, ખુલ્લી જગ્યાઓ, બાગો, મનોરંજન સ્થળો, શાળાઓ, માર્કેટો, ગ્રીન બેલ્ટો, વાહન વ્યવહારની સગવડો અને સર્વે પ્રકારના સાર્વજનિક હેતુઓ માટે જમીન આપવી કે અનામત રાખવી.
5. ગંદા પાણીના નિકાસ સહિત ડ્રેનેજ જમીન ઉપરના અથવા ભૂગર્ભ ડ્રેનેજ તેમજ સુવેઝ નિકાલની વ્યવસ્થા કરવી
6. રોડ લાઈટની વ્યવસ્થા કરવી.
7. પાણી પુરું પાડવું
8. ઐતિહાસિક અથવા રાષ્ટ્રીય મહત્વની અથવા કુદરતી સૌંદર્યવાળી વસ્તુઓનું અને ધાર્મિક કામ માટે ખરેખર વાપરવામાં આવતા હોય તેવા મકાનોનું રક્ષણ કરવું.
9. સામાજિક અને આર્થિક રીતે પછાત હોય તે વર્ગના લોકો માટે રહેઠાણની સગવડ માટે કુલ આવરી લીધેલા વિસ્તારની 10% જમીન અનામત રાખવી
10. યોજના હેઠળ આવરી લેવાયેલા કુલ વિસ્તારની જમીનનું બ્રેક અપ નીચે મુજબ છે.
-ડ્રાફટ ટી.પી.સ્કીમ શુ છે???
જેમ દસ્તાવેજ બનાવતા પહેલા ડ્રાફટ દસ્તાવેજ બનાવવામાં આવે છે તેમ ટી.પી.સ્કીમ શરૂઆતમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ બની ગયા પછી તેની જાણકારી અને જાહેરાત લાગતા વળગતાઓને થાય તે માટે તેની જાહેરાત કરવામાં આવે છે. ઓફિસોમાં તેના નકશા જાહેર જાણકારી માટે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવે છે. લાગતા વળગતાઓને સદરહુ ટી.પી.સ્કીમની જાણકારી આપવા તથા તેના વાંધા સૂચનો માટે જાહેર મીટીંગ યોજવામાં આવે છે. જેમને સદરહુ ડ્રાફટ ટી.પી.સ્કીમ માટે વાંધા સૂચનો આપવા હોય કે તેમને આપવામાં ફાઈનલ પ્લોટ બાબતે વાંધો હોય તો તેઓ રજૂઆત કરી શકે છે. ઓથોરિટીને યોગ્ય લાગે તેવા વાંધાઓને ધ્યાને લઈને ટી.પી.સ્કીમના પ્લાનમાં સુધારો કરવામાં આવે છે.
-દરેક ખાતેદાર ને જાણ કરવાની ફરજીયાત
ટી.પી.ડ્રાફટ ટી.પી.સ્કીમની જાહેર મીટીંગ વખતે અસર પામતા દરેક ખાતેદારોને તેમની જમીનમાં થયેલ કપાત તથા જમીનના આકારમાં થયેલા ફેરફારની જાણકારી માટે દરેકને ફોર્મ નં. બ (ફોર્મ એફ.) તથા ટી.પી. પાર્ટ પ્લાન આપવામાં આવે છે. જેથી દરેક વ્યકિત પોતાની જમીનને થયેલી અસરનું નિરીક્ષણ કરી શકે.અસર પામતા દરેક જમીન માલીકોએ પોતાને ફાળવવામાં આવતા ફાઈનલ પ્લોટ બાબતે એરીયા / લોકેશન / કપાત બાબતે વાંધા હોય તો તેમણે પોતાની રજૂઆત 7 દિવસમાં પોતાના મંજૂર થયેલા પ્લાન સહિત બિનખેતીનો મેળવેલ હુકમ કે જમીનમાં હયાત બાંધકામ કે જમીનના વેચાણ કરેલા પ્લોટો વગેરેની માહિતી પૂરાવા સહિત રજૂ કરવી જરૂરી છે. તેથી તેના આધારે તેમાં સુધારો વધારો થઈ શકે.
-ડ્રાફટ ટી.પી. સ્કીમનુ સરકારમાં સબમીસન
ડ્રાફટ ટી.પી.સ્કીમ બનાવ્યા બાદ તેમાં આવેલા વાંધાઓને ધ્યાનમાં લઈને જરૂરી સુધારાઓ કરવામાં આવે છે. ત્યાર બાદ આ ડ્રાફટ ટી.પી.સ્કીમ મંજૂરી અર્થે સરકારશ્રીમાં મોકલવામાં આવે છે. આ સ્ટેજને આપણે કહીશું ડ્રાફટ ટી.પી.સ્કીમ સબમીટેડ ટુ ગવર્ન્મેન્ટ.
-ટી.પી.ઓ.ની નિમણુંક કરે છે સરકાર
સરકારમાંથી ડ્રાફટ ટી.પી.સ્કીમને મંજૂરી બાદ તેના અમલીકરણ માટે ટાઉન પ્લાનીંગ ઓફીસરની નિમણુંક કરવામાં આવે છે. ટાઉન પ્લાનીંગ ઓફીસર સ્થળ તપાસ કરી ખાતેદારો પાસેથી સમજૂતી કબજો ફેરફાર બાબતેની કાર્યવાહી કરે છે તથા ટી.પીમાં દર્શાવવામાં આવેલા રસ્તાઓ ખૂલ્લા કરવાની કાર્યવાહી હાથ ધરે છે. ફરી કયાંક ચૂક થઈ હોય, ભૂલ હોય યા ટી.પીમાં સુધારા વધારા કરવાની જરૂરત જણાય તે મૂજબ સુધારો કરીને ફરીથી સરકારમાં ટી.પી.સ્કીમને મોકલી આપે છે. આ પ્રક્રિયાને સેન્સેટીવ રીકોન્સીટ્યુશન કહેવામાં આવે છે.
-સૌથી વધુ મહત્વનું છે ડીમાર્કેશન :
સરકારમાંથી સુધારો મંજૂર થઈને આવેલ ટી.પી.સ્કીમ પરત આવે છે. અને ત્યાર બાદ ફાઈનલ ડિમાર્કેશન પુરા લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અને આ પરિસ્થિતિને સર્વે જાહેર થતા પહેલાનો પરામર્શ (વિચારણા) તરીકે ઓળખાય છે. ત્યાર બાદ ટી.પી. સ્કીમ ફરી સરકારમાં મોકલી આપવામાં આવે છે.
-પ્રીલીમીનરી ટી.પી.સ્કીમ
સરકારમાં રજૂ થયેલ સ્કીમ સરકારમાંથી મંજૂર થઈને આવે ત્યારે આ સ્ટેજને પ્રિલિમિનરી ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરે છે
-ફાઈનલ ટી.પી.સ્કીમ
પ્રિલિમિનરી ટી.પી.સ્કીમ મંજૂર થઈને આવ્યા બાદ સ્થળ પર તે મુજબ સુધારા વધારા કરી કબજા ફેરફાર કરી (આખરી ફેરફાર મુજબ) સરકારમાં ફરી મંજૂરી અર્થે મોકલાય છે. જે મંજૂર થઈને આવે તે ટી.પી.સ્કીમને ફાઈનલ ટી.પી.સ્કીમ તરીકે જાહેર કરવામાં આવે છે. ફાઈનલ થયેલ ટી.પી.સ્કીમ મુજબના પ્લાનને આખરી ઓપ આપીને માપોને ફાઈનલ ગણવામાં આવે છે. ત્યાર પછીના માપો કાયમી તરીકે રહેશે અને તે માપો ફાઈનલ રેકોર્ડ તરીકે જાહેર થશે. ત્યાર બાદ માપોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકાશે નહી.
-આખરી તબક્કો…..બેટરમેન્ટ ચાર્જીસની વસુલાત
ટી.પી. સ્કીમના સ્ટેજ વાઈઝ અલગ અલગ સ્ટેજ પૂર્ણ થાય પછી અને માપો ફાઈનલ થયા બાદ આખરે બેટરમેન્ટ ચાર્જીસની ગણતરી થાય છે. આખરી સમય, સંજોગો, જંત્રી તથા વિકાસના અનુસંધાને જે તે ખાતેદારે કે જમીન માલિકે કેટલા ચાર્જીસ ભરવાના એ નક્કી થાય છે. તે રકમને ફાઈનલ તરીકે ગણી લેવામાં આવે છે. તે મુજબના નાણા નિયત કરવામાં આવેલ સમયમાં ભરી દેવાના હોય છે. ત્યાર બાદ ભરવાપાત્ર આઈ.સી.ના નાણાં પર 1.5% થી 2% જેટલું વ્યાજ લાગવાનું શરૂ થાય છે.