Mysamachr.in-જામનગર
જામનગર પંથકમાં વિવિધ ક્ષેત્રોમાં સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થા એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ સેવારત છે. ટ્રસ્ટના ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ એચ. લાલ(જીતુલાલ)ના જણાવ્યા અનુસાર ગૌરવશાળી ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની સતત પાંચમા વર્ષે પણ અભિનવ રીતે ઉજવણી કરવામાં આવશે. વર્ષ 2016 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીનો પ્રારંભ વૃક્ષારોપણથી કરવામાં આવેલો. એ પછીથી પ્રતિવર્ષ નરેન્દ્ર મોદીની જન્મદિવસની વર્ષગાંઠ નિમિત્તે તેઓની ઉંમર સાથે એક – એક વૃક્ષ ઉમેરો કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષે પણ તે કાર્યક્રમ ઉપરાંત ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના અનુરોધથી એચ. જે. લાલ ચેરિટેબલ ટ્રસ્ટે આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં વર્ષમાં મંગલ પ્રવેશે તારીખ 17 સપ્ટેમ્બરના જામનગર શહેરના 1000 લોકોને 2-2 લાખનું વીમા કવચ કરાવી આપવાનો સંકલ્પ કર્યો છે. આ રીતે કુલ 20 કરોડનો વીમાનો લાભ સીધો જ આપવામાં આવશે. જેમાં આ સુરક્ષા વિમા યોજના હેઠળની પ્રિમિયમની રકમની સંસ્થા દ્વારા ભરપાઈ કરવામાં આવશે.