Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લો આયુર્વેદ ચિકિત્સામાં ગુજરાતમાં મોખરે ગણાય છે. વળી કોરોના વાયરસની મહામારી સામે આયુર્વેદ વિભાગ દ્વારા રોગપ્રતિકારકશક્તિને વધારી શકાય તે માટે આયુર્વેદિક ઉકાળા, સંશમનીવટી વગેરેનો ઉપયોગ કરવા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે જામનગર જિલ્લામાં આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત દ્વારા કોવિડ-19ના નિયંત્રણ માટે જિલ્લા આયુર્વેદ અધિકારી, જામનગરના નિયંત્રણ હેઠળના 8 આયુર્વેદ તેમજ 4 હોમિયોપેથી દવાખાના અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ-જોડિયા દ્વારા લોકોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારી આ સંક્રામક બીમારી સામે લડત કરવા અનેક સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં આયુર્વેદ શાખા દ્વારા કુલ 1,64,683 લોકોને આયુર્વેદિક ઉકાળા તેમજ ઘરેલુ ઉકાળાનો લાભ આપવામાં આવ્યો હતો. 2934 લોકોને સંશમનીવટી દવા તેમજ 56 શાળા/ આંગણવાડીની મુલાકાત લઇ કુલ 5138 લોકોને દવા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં જનજાગૃતિ અંતર્ગત કુલ 28117 લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, હોમ ક્વોરેંટાઇન તેમજ ક્વોરેંટાઇન સેન્ટર ખાતે કુલ 1809 લાભાર્થીઓને આયુર્વેદિક તેમજ હોમિયોપેથીક દવાઓ આપવામાં આવેલ છે. આયુષ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ હોમીયોપેથીક દવા આર્સેનિક આલ્બમ૩૦ પોટેન્સીનો જામનગરના કુલ 49001 લોકોને લાભ મળેલ છે.
જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરની કચેરી દ્વારા જામનગરના ક્વોરેન્ટાઇનસેન્ટર સમરસ હોસ્ટેલ, ઠેબા ચોકડી-જામનગર તેમજ લાખાબાવળ ખાતેના સેવન સીઝન રિસોર્ટ સેન્ટર ખાતે પ્રારંભથી જ એક આયુર્વેદિક તેમજ એક હોમિયોપેથીક ડોક્ટરની ટીમ સતત કાર્યરત રાખવામાં આવેલ છે. આયુર્વેદ શાખા દ્વારા જામનગર મહાનગર પાલિકાને અંદાજે 500 કિલોગ્રામ આયુર્વેદ ઔષધના ઉકાળા તેમજ પ્રક્ષેપ દ્રવ્યો પૂરા પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર પરથી આયુર્વેદિક ઉકાળા તેમજ હોમીયોપેથીક દવા- આર્સેનિકઆલબમ 30 પોટેન્સીનું પણ નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
ધ્રોલ નગરપાલિકા, મોટાઈટાળા તેમજ સુમરાના મેડીકલ ઓફિસરશ્રી આયુર્વેદિક દવાખાના 2,૦૦,૦૦૦ના મળેલ અનુદાન થકી ધ્રોલ શહેરમાં 8000 ઘરોમાં ડોર-ટુ-ડોર ડ્રાય ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું.વળી એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ હાપા-જામનગર અને મોટાઈટાળા સરકારી આયુર્વેદ દવાખાનાના સહયોગથી હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે કુલ 6801 લાભાર્થીઓને લિક્વિડ ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ હતું જેનો સંપૂર્ણ ખર્ચ એ.પી.એમ.સી. જામનગર દ્વારા આપવામાં આવેલ હતો. જિલ્લામાં લોકો સતત આયુષ મંત્રાલયના સૂચનોને અનુસરીને આ મહામારીમાં સ્વસ્થ જીવન મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે જેમાં આયુર્વેદ શાખાના માર્ગદર્શન થકી જામનગરની જનતાને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થઈ રહ્યું છે.