Mysamachar.in-જામનગર:
થોડા દિવસો પૂર્વે પટેલકોલોનીમાં આવેલ ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ લાગી હતી, અને ત્યાં પણ કેટલાય ટ્યુશન ક્લાસો ધમધમી રહ્યા છે, એ ઘટનાને હજુ તો દિવસો નથી વીત્યા ત્યાં જ ગઈકાલે જ જામનગરના જી.જી.હોસ્પિટલ નજીક આવેલ રાધેક્રિષ્ના એવન્યુ નામની બિલ્ડીંગમાં આગ ફાટી નીકળી હતી, અને બિલ્ડીંગ અંદર આવેલ ટ્યુશન ક્લાસના ૧૦ જેટલા વિદ્યાર્થીઓનો જીવ માંડ બચ્યો હતો, ત્યારે આજે જામનગર એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસની ટીમે મનપાના ચીફ ફાયર ઓફીસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે,
રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે શહેરમાં કેટલીય શાળાઓ અને ટ્યુશનકલાસીસ આજની તારીખે પણ ફાયર સેફટી વિના ધમધમી રહ્યા છે, અને તેની પાસે ફાયર વિભાગનું એન.ઓ.સી પણ નથી, અને ફાયરવિભાગ દ્વારા આવી શાળાઓ અને ટ્યુશન ક્લાસીસને ભૂતકાળમાં નોટીસો પણ પાઠવવામાં આવી છે, પણ પછી કાઈ થતું નથી, ત્યારે આજે થયેલ રજુઆતમાં ફાયર સેફટી વિના ધમધમતા ટ્યુશન કલાસીસ અને શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.