Mysamachar.in-જામનગરઃ
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસો થઇ રહ્યાં છે, તેમ છતા શિક્ષણનું સ્તર સુધર્યું નથી એ જગજાહેર છે. પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા, સુચારુ વહીવટ, ડ્રોપ આઉટ ઘટાડવા તેમજ કન્યા કેળવણી પર વધારે લક્ષ આપી શકાય તે માટે તાલુકા પંચાયતમાં તાલુકા કેળવણી નિરીક્ષકની વર્ગ-2ની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે રાજ્યમાં છેલ્લા 7 વર્ષથી આ જગ્યા ભરવામાં જ આવી નથી. હાલમાં જ મુખ્યમંત્રી રૂપાણીએ એક વીડિયોમાં કહ્યું કે તેઓ મોદી સરકારના રસ્તે છે. પરંતુ રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જામનગરના 6 અને દ્વારકાના 4 તાલુકા સહિત રાજ્યમાં તાલુકા શિક્ષણ અધિકારીની 225 જગ્યાઓ ભરવા મંજુરી આપી હતી, બાદમાં તાલુકાઓનો વ્યાપ વધતા આ જગ્યા 248 થઇ છે. પરંતુ રૂપાણી સરકારે સાત વર્ષથી આ જગ્યા ભરવા તસ્દી લીધી નથી. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2013માં ઠરાવ પસાર કરી આ જગ્યા ભરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ આ ઠરાવને સાત વર્ષ થઇ ગયા તેમ છતા આ જગ્યા ભરાઇ નથી.
તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તાલુકા કક્ષાએથી શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ અને શાળા આરોગ્ય કાર્યક્રમ જેવા રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરાવવા સહિતની કામગીરી કરવામાં આવે છે, જો છેલ્લા 7 વર્ષથી તાલુકા શિક્ષણ અધિકારીની ખાલી જગ્યા ભરાઇ નથી તો આ કામગીરી સુચારુરૂપથી થઇ નથી એવું માની શકાય ને ? જો કરાઇ છે તો અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હશે, જો પહેલાથી જ રૂપાણી સરકારે આ જગ્યા ભરી હોત તો શિક્ષણનું સ્તર મહંદઅંશે સુધારી શકાયું હોત !. તાલુકા કક્ષાએથી પ્રાથમિક શિક્ષણમાં બાળકોના પ્રવેશનું 100 ટકા નામાંકન થવું તથા શાળા પ્રવેશ પામેલા બાળકો શાળા છોડી ન જાય તથા સ્થાયીકરણમાં દરમાં વધારો કરવા સહિતની કામગીરી તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવે, હવે તમે જ વિચારો આ જગ્યા જ રાજ્યના શિક્ષણ વિભાગે ભરી જ નથી તો સ્વાભાવીક છે કે ડ્રોપ રેશિયો અંકુશમાં લેવા કેવી કામગીરી કરાઇ હશે !.
તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા બાળકો માટેની કામગીરી તો ઠીક પરંતુ શિક્ષકોના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવે છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર, એરિયર્સ બિલો, તબીબી સારવારના બિલો, ઇજાફા મુક્ત કરવાની કામગીરી, પગાર બાંધણી અંગેની તેમજ રજાઓ અને મહેકમ વિષયની તમામ કામગીરી તથા શિક્ષકોની શિસ્ત વિષયક સંબંધી જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તાલુકા પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓ જેવી કે શાળાના ઓરડા, પીવાના પાણીની સુવિધા, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ શૌચાલયો, વીજળીની સુવિધા, રમત-ગમતના મેદાન, શાળા આરોગ્ય તેમજ શૈક્ષણિક કાર્યને લગતી ભૌતિક સુવિધાઓ અંગેની કામગીરી સંભાળવામાં આવે છે. ત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારીની નિમણૂક ન થતાં શિક્ષકોના પણ અનેક પ્રશ્નો ગુંચવાયેલા પડ્યા છે.