Mysamachar.in-જામનગરઃ
જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રની મહત્વની સંસ્થા તરીકેનો દરજ્જો મળ્યો છે. મોદી સરકારની કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કરી છે. જાવડેકરે કહ્યું કે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું મહત્વ, તેનો પ્રભાવ અને પરિણામ સારું હોવાથી નેશનલ ઇમ્પોટન્સ એટલે કે રાષ્ટ્રની મહત્વની સંસ્થા જાહેર કરવામાં આવે છે. આ યુનિવર્સિટી ખૂબ સારી છે. ઉલ્લેખીય છે કે જામનગર સ્થિત આ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ગુજરાત સહિત ભારતની એક માત્ર આયુર્વેદિક શિક્ષણ અને સંશોધનનું કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થા એવી પ્રથમ સ્થાયી યુનિવર્સિટી છે જ્યાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના આયુર્વેદ વિષયક અભ્યાસક્રમોના શિક્ષણ અને સંશોધનનું કાર્યનું સંચાલન કરવામાં આવે છે. હવે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય સ્તરનો દરજ્જો મળતા તેની કામગીરીમાં વધુ વેગ મળશે અને જામનગરની આ સંસ્થાનું દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં નામના મળશે.