Mysamachar.in-જામનગરઃ
ચિમકી આપ્યા બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંતે જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડિલર્સ એસોશિએશને આજથી હડતાલ શરૂ કરી છે. આ હડતાલને ભાણવડ, લાલપુર, કાલાવડ અને ઉપલેટા તાલુકાના પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશને ટેકો જાહેર કર્યો છે, તો આ હડતાલ અંગે જિલ્લા પુરવઠા વિભાગ અને જિલ્લા ક્લેક્ટરને જાણ કરી દેવાઇ છે. હડતાલમાં જોડાયેલા તાલુકાઓમાં પેટ્રોલ તેમજ ડીઝલનું વેચાણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડિલર્સ એસોશિએશને આક્ષેપ કર્યો છે કે જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી તેમજ એસ્સાર ઓઇલ દ્વારા સંચાલિત ડીઝલ પંપમાં ગેરરીતિ, નિયમ વિરુદ્ધ વેચાણ, કર ચોરી, સહકારી ધારાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જામજોધપુર તાલુકા પેટ્રોલિયમ ડીલર્સ એસોશિએશનનો આક્ષેપ છે કે કાર્યકારી સહકારી મંડળી તેમજ એસ્સાર ઓઇલ દ્વારા સંચાલિત ડીઝલ પંપમાં ગેરરીતિ, નિયમ વિરુદ્ધ વેચાણ મુદ્દે સરકાર, મંત્રી અને અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવી છે, છતા આ પંપ વિરુદ્ધ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલું જ નહીં આ ગેરરીતિને કારણે ખુદ સરકારને ટેક્ષમાં ખોટ થઇ રહી હોવા છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.