Mysamachar.in-જામનગર:
ધૂમ આવક છતાં ડુંગળી મોંઘી, કિલોના ભાવ રૂ.70એ પહોંચ્યા છે, ડુંગળીના ભાવમાં મહિનામાં કિલોએ રૂ.30ના વધારાથી લોકોમાં રોષ સાથે દેકારો, ડુંગળીની સંગ્રહાખોરી કરી વધુ ભાવ પડાવતા હોવાની ફરિયાદ ઉઠી છે, કેમ કે ખેડૂતોને તો માત્ર રૂપિયા ૧૦ થી માંડી ૨૫ રૂપિયા સુધી જ કિલોના મળે છે તો કમાણી કોને છે? જો કે આ સવાલનો જવાબ સાવ સહેલો છે, જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની નોંઘપાત્ર આવક થવા છતાં ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના ભાવમાં વધારો થતાં કીલોના રૂ.70 એ પહોંચી ગયા છે.ડુંગળીના ભાવમાં મહીનામાં કીલોએ રૂ.30 નો વધારાથી લોકોમાં રોષ સાથે દેકારો બોલી ગયો છે અને આમાં પૂરૂં કેમ કરવું તેવી ફરિયાદો ગૃહણીઓમાં જોરશોરથી ઉઠી છે.
આ સ્થિતિમાં તકનો લાભ લઇ ડુંગળીની સંગ્રહાખોરી કરી વધુ ભાવ પડાવતા વેપારીઓ સામે તંત્ર આળસ ખંખેરી કાર્યવાહી કરે તે જરૂરી છે.કમોસમી વરસાદના કારણે જામનગર સહીત રાજયભરમાં અન્ય પાકની સાથે ડુંગળીના પાકને પણ નુકશાન થયું છે.જેના કારણે સારી ગુણવતાવાળી ડુંગળીની બજારમાં અછત પ્રર્વતી રહી છે.જો કે,આ સ્થિતિ વચ્ચે પણ જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની નોંઘપાત્ર આવક થઇ રહી છે.આમ છતાં ડુંગળીના ભાવમાં મહીનામાં કીલોએ રૂ.30 નો વધારો થતાં રૂ.70 એ પહોંચતા લોકોમાં દેકારો બોલી ગયો છે.બીજી બાજુ ડુંગળીના ભાવમાં તેજીના કારણે જથ્થાબંધ વેપારીઓ હરરાજીમાં સસ્તાભાવે ડુંગળીની ખરીદી કરી સંગ્રહાખોરી કરતા સ્થાનિક બજારોમાં ડુંગળીના ભાવમાં કૃત્રિમ ઉછાળાની ફરિયાદો પણ ઉઠી છે ત્યારે તંત્રએ આળસ ખંખેરી કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકમાંગણી ઉઠી છે.
-કિલોના રૂ.10 થી 25 મળતા હોવાની ખેડૂતોની ફરિયાદ
જામનગર યાર્ડમાં ડુંગળીની જાહેર હરાજીમાં ડુંગળીની ગુણવતા પ્રમાણે ખેડૂતોને ભાવ મળે છે.પરંતુ બજારમાં રૂ.60 થી 70 રૂપિયે ડુંગળી કિલો મળી રહી છે ત્યારે હરાજીમાં ડુંગળીના કીલોએ રૂ.10 થી 25 મળી રહ્યાની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી છે.