Mysamachar.in-જામનગર:
સરકારી હોસ્પિટલ એટલે ત્યાં ગરીબ તવંગર સૌ સારવાર લેવા માટે જાય…અને બધા સાથે મોટાભાગે સરખો જ વ્યવહાર પણ થવો જોઈએ, પણ જેની સાથે કોઈ જ નથી, જે આ દુનિયામાં એકલો છે, તે જીવવાની આશ લઈને હોસ્પિટલ સુધી તો પહોચે છે પણ હોસ્પિટલમાં તેની સાથે જયારે કોઈ ના હોય ત્યારે આવા કેટલાય અજાણ્યા ભિક્ષુક જેવા લોકો કે માનસિક અસ્થિર લોકો, અપંગો, શારીરિક પીડા ભોગવતા લોકો હોસ્પિટલના પટાંગણમાં પડ્યા રહે છે, અને ત્યાં જ મોતને ભેટે છે,
સારવાર માટે કોઈ સાથે ના હોય તો સારવાર થતી નથી અથવા અધૂરી થતી હોય છે, તેના કારણો એવા પણ છે કે ફરજ પરના ડોક્ટરો જે મુજબ લખી આપે તે મુજબના રીપોર્ટ વગેરે કરાવવા અજાણ્યાનું કોઈ ના હોય તો સાથે જાય કોણ..? હા પણ આવા લોકો માટે એટેન્ડન્ટ આપવાની હોસ્પિટલની નિયમમુજબ ફરજ છે, તેવું નિષ્ણાતો કહે છે..પણ હોસ્પિટલ પાસે માણસો હોય ના હોય આવા લોકો સાથે રહે ના રહે તેવા અનેક પ્રશ્નો વચ્ચે છાશવારે એવા કિસ્સાઓ સામે આવતા જ રહે છે કે આવા અજાણ્યા લોકો જેનું કોઈ નથી તે હોસ્પિટલને આંગણે કણસી કણસી ને દમ તોડી દે છે.તે નરી વાસ્તવિકતા વખતોવખત પોલીસ ચોપડે જાહેર થતી જ રહે છે,
એ પણ યાદ અપાવવું રહ્યું કે કેટલીક સંસ્થાઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ વારે તહેવારે વૃદ્ધાશ્રમમા જઈ એકાદ આઈસ્ક્રીમની ડબ્બી વૃદ્ધોને આપીને ફોટાઓ પડાવી અને અખબારોને પ્રસિદ્ધિ અર્થે મોક્લે છે, તેના કરતાં આવી સંસ્થાઓ આવા અજાણ્યા લોકો માટે પણ આગળ આવે તે જરૂરી છે, તે પગલું એટલું સ્તુત્ય હશે.. જેની કુદરત પણ નોંધ લેશે.. ત્યારે આ રીતે અજ્ઞાત લોકોના મોત થાય ત્યારે એવું લાગે કે શું માનવતા જેવું કાઈ જ છે જ નહિ…?