Mysamachar.in-જામનગર:
જ્યારથી પ્લાસ્ટીક અંગેનો નવો નિયમ અમલમાં આવ્યો છે. ત્યારથી કોર્પોરેશનના કર્મચારીઓ વેપારીઓને રજીસ્ટ્રેશન બાબતમાં સમજાવવાને બદલે દંડનાત્મક કાર્યવાહી કરી અને ભયનો માહોલ ઊભો કરે છે, જેનાથી જામનગરનો દરેક વેપારી ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે.આ રીતની દંડનાત્મક કાર્યવાહી સંપૂર્ણપણે બંધ થવી જોઈએ અને નવા નિયમને સમજવા માટે વેપારીને પૂરેપૂરો સમય આપવો જોઈએ અને સાથે- સાથે રજીસ્ટ્રેશન માટે વેપારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ અને નવા નિયમ અંગેબ પૂરેપુરી જાણકારી વેપારીઓને થાય, માટે અલગ-અલગ એરિયામાં હોર્ડિંગ્સ લગાવવા જોઈએ અને આ નવા નિયમોનો ખુબજ પ્રચાર-પ્રસાર થવો જોઈએ. દંડ કરવાથી આ પ્રશ્નનો ઉકેલ નથી આવવાનો, દંડની કાર્યવાહીથી વેપારીઓ વધારે ઉશ્કેરાશે તેમ પણ વેપારીમહામંડળના આવેદનપત્રમાં ટાંકવામાં આવ્યું છે,
ત્યારે આજે વેપારીઓના આ મહત્વના પ્રશ્ને જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાની આગેવાનીમાં ચાંદીબજાર ચોક ખાતેથી વેપારીઓની એક રેલી યોજાઈ હતી અને રેલી જામનગર મહાનગરપાલિકા ખાતે પહોચી હતી, અને જ્યાં સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને આ અંગે યોગ્ય થવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.અને જો યોગ્ય કાર્યવાહી ના થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.