Mysamachar.in-જામનગર:
સરકાર કોઈ કામ માટે ગ્રાન્ટ ફાળવી દે અને કામ ચાલુ થઈ જાય પછી તેનું મોનીટરીંગ કરવાની પ્રથમ જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની છે અને બીજી જવાબદારી જે તે પદાધિકારીઓની છે, પરંતુ મોટાભાગે એવું જોવા મળતું હોય છે કે કામ શરૂ થઈ જાય પછી આવ ભાઈ હરખા અને આપણે બેઇ સરખાનો ઘાટ ઘડાઈ જાય પછી કામ કેવું થાય તે બધાને ખબર છે.

વાત છે જામનગર જિલ્લા પંચાયતના વગોવાયેલા માર્ગ અને મકાન વિભાગની ભૂતકાળમાં પણ આ વિભાગ અને તેના અધિકારીઓ કર્મચારીઓની નીતિરીતી અને થયેલા કામો સામે આંગળીઑ ચિંધાતી આવી છે. તેવામાં વધુ એક વખત જામનગર તાલુકાના ધુતારપર ગામે બેઠા બ્રીજના કામમાં ગંભીર બેદરકારી રાખી ગુણવત્તાવિહીન બ્રીજ બની ગયો હોવાનો સરપંચનો એક વિડિયો વાઇરલ થયો છે.

જામનગર જીલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામોમાં આચરવામાં આવતી ગેરરીતિ મામલે જોડિયાના કોંગ્રેસના સદસ્ય મોહનભાઈ પરમારે ગંભીર આક્ષેપો કરીને સામાન્ય સભામાં તપાસની માંગણી કરી હતી, જેનું હજુ સુધી કંઈ થયું નથી. એવામાં જામનગર તાલુકાના ધુતારપર ગામ પાસે જૂના ગામમાં જવાના રસ્તે થોડા સમય પહેલા બેઠો બ્રીજ બનાવવામાં આવેલ છે. આ કામમાં હલકી પ્રકારનું માલ સામાન વાપરવામાં આવતા ટૂંકાગાળામાં જ આ બ્રીજ જર્જરીત હાલતમાં થઈ જતા માર્ગ-મકાન વિભાગનો ભ્રષ્ટાચાર વધુ એક વખત ઉઘાડો પડ્યો છે.
VIDEOમાં થઈ રહેલ આક્ષેપ પ્રમાણે કામમાં હલકી ગુણવતાનું મટીરીયલ વાપરીને નાણાંનો દુર્વ્યય કરવામાં આવ્યો છે. ત્યારે તપાસ કરી જવાબદારો સામે પગલા ભરવા સરપંચ અમરશીભાઈ દ્વારા માંગણી કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.