Mysamachar.in-જામનગર;
જામનગર શહેરમાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થવા માટે રાખેલ TRB જવાનો પોતાને ઉચ્ચ અધિકારીઓ માનતા હોય તેવું મનસ્વી વર્તન અવારનવાર વાહનચાલકો સાથે કરતા રહે છે, પણ TRB જવાનોને રોકનાર કે ટોકનાર કોઈ નથી, એવામાં ગતરોજ વધુ એક વખત એક વખત જામનગરમાં TRB જવાનની દાદાગીરી સામે આવી છે. જેમાં વિકલાંગ વ્યક્તિને ફડાકા ઝીંકતા TRB જવાનનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકોમાં રોષ વ્યાપ્યો છે.
વાત એવી છે કે ગતરોજ જામનગરના નાગનાથ ગેટ નજીક ટ્રાફિક જામ હતો ત્યારે TRB જવાન દશરથસિંહ વાઢેર અને અન્ય TRB જવાન ટ્રાફિક ક્લીયર કરાવતા હતા, તે દરમિયાન એક સીલ્વર કલરના એક્સેસ મો.સા રજી નં-GJ10-BL-9843 નો ચાલક જે પોતે વિકલાંગ હોય તે ત્યાંથી પસાર થતો હતો અને તેને અને TRB જવાન વચ્ચે કોઈ બાબતને લઈને થયેલ બોલાચાલી બાદ અન્ય કોઈ કાર્યવાહી કે ઉચ્ચ અધિકારીને ધ્યાને દોર્યા સિવાય TRB જવાને સીધી જ વિકલાંગ વાહનચાલક પર ફડાકાવાળી કર્યાનો સોશ્યલ મીડિયામાં વિડીયો વાઈરલ થયો છે.જે બાદ આ કેસમાં જેને TRB જવાનના ફડાકા ખાધા તે વિકલાંગ સામે જ TRB જવાને ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે.
જેમાં લખ્યું છે કે નાગનાથ ગેટ નજીક ફરીયાદી TRB જવાન તથા અન્ય પોતાની ટ્રાફીક બ્રીગેડની ફરજમા ટ્રાફીક નીયમનની કામગીરી કરતા હોય તે દરમ્યાન સીલ્વર કલરના એક્સેસ મો.સા રજી નં- GJ10-BL-9843 નો ચાલક ટ્રાફીક કેમ થયેલ છે તેમ કહી અશ્લીલ શબ્દો બોલતા હોય જેથી TRB જવાને જાહેરમા અશ્લીલ શબ્દો ના બોલવા સમજાવવા જતા એક્સેસ ચાલક વિકલાંગે ફરીયાદીને પણ ભુંડી ગાળો આપી હોવા સબબની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં જે વાહનચાલક છે તે દિવ્યાંગ છે. જો વાહનચાલક દ્વારા કાયદાનો ભંગ કરાયો હોય તો TRBના જવાન દ્વારા નિયમ મુજબ વાહનચાલક સામે કાર્યવાહી કરવાની જરુર હતી. તે કરવાના બદલે ગુસ્સે થઈ ફડાકો ઝીંકી દેતા ચકચાર મચી છે.
-પૂર્વ ધારાસભ્ય લાલજી સોલંકીએ પણ વ્યક્ત કર્યો રોષ…
જામનગરમાં TRB જવાને જે રીતે એક વિકલાંગને ફડાકાવાળી કરી સીન માર્યાની ઘટના બાદ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીએ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને આવી ઘટના કદાપી ચલાવી ના લેવાય તેવું તેમણે જણાવ્યું છે વધુમાં પોતે વિકલાંગ હોય અને વિકલાંગ વ્યક્તિ પર આ રીતે TRB જવાને કરેલ અયોગ્ય વર્તન અંગે જો સ્થાનિક કક્ષાએ કોઈ પગલા લેવામાં ના આવે તો ગૃહમંત્રી સુધી ફરિયાદ કરવાની તૈયારી પણ લાલજીભાઈ સોલંકીએ દર્શાવી છે.
-આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટએ જામનગર એસપીને પત્ર લખ્યો કે…
સરકાર અને અભિગમ દિવ્યાંગ વ્યકિતઓને સમાજની મુખ્ય ધારામાં સમાવેશ કરવા વિશેષ તકો-અવસરો પ્રદાન કરવાનો છે.ત્યારે જામનગર ખાતે રક્ષાબંધન-પર્વના શુભદીવસે વિષયમાં જણાવેલ વિગતે થયેલ અમાનીય વર્તન અત્યાચારની વીડીયો વાયરલ થઈ રહયો છે.અને આ બાબતે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી દિવ્યાંગ સહિતના અગ્રણીઓમાં રોષ જોવા મળેલ છે.સરકારના દિવ્યાંગ કલ્યાણલક્ષી સંવેદનાત્મક અભિગમને અનુલક્ષીને વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના અધિકારો માટેના અધિનિયમ-2016 ની કલમ-7(1)(અ),કલમ-70(4),કલમ-8(1)કલમ 92(1)ની જોગવાઈઓ પણ ખાસ ધ્યાનમાં લઈ ભારતીય ફોજદારી ધારા અંતગર્ત ઉત વિગતે જવાબદાર સામે ઘારાસર ફરીયાદ દાખલ કરાવવા વહેલામાં વહેલી તકે જરૂરી તપાસ કરાવવાની બાબતોના પુનરાવર્તન થવા ન પામેં રીતે સખ્ત કાર્યવાહી કરવી જોઈએ.
-ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર યુવરાજસિંહ વાઘેલાએ કહ્યું કે…
TRBના જવાનનું આ વર્તન યોગ્ય નથી તેને તાત્કાલિક અસરથી ફરજમુક્ત કરી દેવામાં આવ્યો છે અને બન્ને પક્ષે ફરિયાદ નોંધાઈ છે.જો કે પત્રકારોને આપવામાં આવતા ડેઈલી રીપોર્ટમાં એક જ ફરિયાદ આવી છે.