Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક રેલ્વે સ્ટેશનવાળી સીમમાં બાવળની જાળીઓમાં સળગેલી હાલતમાં એક પ્રૌઢનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, લાશને જોઈ હત્યાની આશંકા લાગતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતા પોલીસની શંકા સાચી પડી છે. અને કોઈ અજાણ્યા ઈસમોએ પ્રૌઢની હત્યા નીપજાવી હોવાનું પીએમ રીપોર્ટમાં ખુલાસો થતા પોલીસે હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી મરણજનાર કોણ અને મારનાર કોણ તે દિશામાં તપાસ લંબાવી છે.
લાલપુર તાલુકાના પીપળી ગામે રેલ્વેસ્ટેશન નજીક બાવળની ઝાડીમાં સળગેલી હાલતમાં એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 50 થી 60 વર્ષની ઉમર ધરાવતા પ્રૌઢના મૃતદેહને પોલીસે કબજે કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં મૃતકની હત્યા નીપજાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને લાલપુર પોલીસે અજાણ્યા શખ્સો સામે અજાણ્યા પ્રૌઢની હત્યા નીપજાવવા સબબ ફરિયાદ નોંધી હતી. જાણવા મળતી વિગતો પ્રમાણે અજાણ્યા શખ્સોએ મૃતકના માથાના ભાગે કોઇ વસ્તુ-પદાર્થ-હથીયાર વડે માર મારી ગંભીર ઇજા પહોચાડી મોતને ઘાટ ઉતારી, મૃતકની લાશ ઓળખાય નહી તેમજ મરણ જનારના મુત્યુનુ કારણ જાણી શકાય નહી તે હેતુથી લાશને સળગાવી પુરાવાનો નાશ કરી નાશી ગયા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા અને હત્યારાઓ કોણ તેના માટે લાલપુર પીએસઆઈ ડી.એસ.વાઢેર સહિતની ટીમ વિવિધ પાસાઓ પર તપાસ શરુ કરી છે.