Mysamachar.in-જામનગર
આજના સમયમાં લવમેરેજ કરવાનું કેટલાયને ઘેલું લાગ્યાના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે, પણ જામનગરમાં એક યુવતીને લવમેરેજના 15 દિવસ બાદ જ પતિએ અસલી કલર બતાવવાનું શરુ કર્યું હતું અને અંતે કંટાળેલી પરણીતાએ બે વર્ષ બાદ ત્રાસ સહન ના થતા ફિનાઈલ ગટગટાવી લેતા હાલ તેણીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં જકાત નાકા પાસે રહેતી મૌસમીબેન રવિભાઇ ડોંગરા નામની મહિલાએ ગઇકાલે રાત્રે ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે,
આ બનાવ અંગે તેણીએ પોલીસ સમક્ષ પોતાના આ પગલા પાછળ પોતાના જ પતિનો ત્રાસ કારણભૂત હોવાનું સામે જણાવ્યું હતું, અને આ મામલે સી ડીવીઝન પોલીસ દ્વારા તેના પતિ વિરુદ્ધ 498(ક) મુજબ ફરિયાદ દાખલ થઇ છે. જેમાં ફરિયાદી મૌસમીબેને જણાવેલ હકીકત પ્રમાણે આરોપી સાથે તેણીએ બે વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા અને લગ્નના 15 દિવસ બાદથી લઇ આજ દિન સુધીના સમયગાળા દરમ્યાન એટલે કે બે વર્ષ જેટલા સમયગાળામાં આરોપી પતિ રવિ ડોંગરાએ અવાર-નવાર નાની-નાની બાબતોમાં ઝઘડો કરી માનસીક દુ:ખ ત્રાસ આપી હેરાન કરતા મૌસમીબેને અંતે કંટાળી આ પગલુ ભરી લીધુ હોવાનું સી ડીવીઝન પોલીસ મથકે જાહેર થયું છે.