Mysamachar.in-જામનગર
જામનગર સહીત ગુજરાતભરમાં બહુચર્ચિત બનેલ જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સહિત તેના સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તમામને રાજકોટની સ્પેશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા, જ્યાં 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, અતુલ ભંડેરી, અનિલ પરમાર, વશરામ આહીર અને પ્રવીણ ચોવટિયાને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, જયારે ગઈકાલે જેલમાં કબજો લેવામાં આવેલ જશપાલસિંહ જાડેજા અને જેને પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું તે તેનો ભાઈ યશપાલસિંહ જાડેજાના 12 દિવસના રિમાન્ડ કોર્ટે મંજુર કર્યા છે.
આ વખતે જામનગર પોલીસે સ્પેશીયલ કોર્ટમાં અરજી કરીને તમામ આરોપીઓને અલગ-અલગ જેલમાં રાખવા નામદાર કોર્ટ સમક્ષ અરજ કરી છે, આ અરજીમાં પોલીસે ઉલ્લેખ કર્યો કે તમામ આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી જેલમાં પણ સંગઠિત ન થાય તે હેતુથી તેમને અલગ અલગ જેલમાં રાખવામાં આવે તેવી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે, અને તમામ આરોપીઓને બે-બે ની ટુકડીમાં અલગ અલગ જેલમાં રાખવાનો હુકમ કર્યો છે, કોર્ટે જ હુકમ કર્યો તેમાં આરોપી બિલ્ડર નિલેશ ટોલિયા અને ભાજપ કોર્પોરેટર અતુલ ભંડેરીને વડોદરા જેલ, રીટાયર્ડ પોલીસકર્મી વસરામભાઈ તથા પ્રવીણ ચોવટિયાને અમદાવાદ જેલ અને અનિલ પરમાર તથા મુકેશ અભાંગીને સુરત લાજપોર જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.