Mysamachar.in-જામનગર
જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક ટોલનાકે વાહન પસાર કરવાની બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી દિનદહાડે યુવાન ઉપર ચાર શખ્સોએ ફાયરિંગ કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં એલસીબીની ટીમે આ પ્રકરણમાં નાસતા ફરતા શાર્પસૂટરને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લઇ અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
6 માર્ચ 2020ના રોજ બપોરેના સમયે ધ્રોલમાં ત્રિકોણ બાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા નામના યુવાન ઉપર ટોલનાકે વાહન પસાર કરવાની બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી પૂર્વઆયોજીત કાવતરુ રચી અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ અને બે અજાણ્યા સહિતના ચાર શખ્સોએ સ્વિફટ કારમાં આવી દિવ્યરાજસિંહ ઉપર ફાયરીંગ કરી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક રફીક પઠાણ, અજીત વીરપાલસિંઘ ઠાકુર, અખિલેશ ઉર્ફે બબલુ ઠાકુર, ઓમદેવસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજા નામના છ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને આ હત્યામાં સૂત્રધાર અને શાર્પસૂટર રોહિતસિંઘ ઉર્ફે સોનુ રામપ્રસાદસિંઘ ઠાકુર (રહે. નેવારી, જી.ગોંડા, ઉત્તરપ્રદેશ) નામનો શખ્સ નાસતો ફરતો હોય જેને જામનગર પોલીસની ટીમે ઉત્તર પ્રદેશમાંથી રોહિતસિંઘને ઝડપી લઇ અદાલતમાં રજૂ કરતાં પાંચ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.