Mysamachar.in-જામનગર:
જામનગરમાં જમીન કૌભાંડની ભરમાર વચ્ચે તાજેતરમાં જ જામનગર નજીક આવેલ ધુંવાવ ગામે એક બાદ એક એમ ત્રણ જમીન કૌભાંડની જુદી-જુદી ત્રણ ફરિયાદો નોંધાયેલ હતી, જેમાંથી ધુંવાવ ગામના સર્વે નંબર ૪૦૨,૪૦૩ તથા 414 ની ખેતીની જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી તેમજ ખોટા નામ ધારણ કરી ખરા તરીકે રજૂ કરી વેચાણ દસ્તાવેજ બનાવી લઈ ફરીયાદી મહેશ રણછોડભાઈ રણછોડભાઈ બુસા, જયેશ રણછોડભાઈ બુસા, અરૂણાબેન રણછોડભાઈ બુસાની આશરે ૨૮ વીઘા ખેતીની જમીનના ખોટા ડોક્યુમેન્ટ, આધારકાર્ડ બનાવી ફરીયાદીના મળતા નામ ધારણ કરી, ફરીયાદીઓ સાથે ઠગાઇ કરી, આરોપીઓએ કૌભાંડ આચરેલ જે બાબતે આઠ ઇસમો રામાભાઇ મેરામણભાઇ કેશવાલા, જયેશ રણછોડભાઈ અમીપરા, વિજય પુંજા મોઢવાડીયા, પુંજા રામા ઓડેદરા, અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમ ખફી, અખતર ઇબ્રાહીમ ખીરા, ભરત ગાંગા ખુટી, એ.આર. શેખ-નોટરી વિરુદ્ધ ગુન્હો પંચકોશી એ ડીવીઝ્નમાં નોંધાયો હતો,
ગુન્હો નોંધાયા બાદ આરોપીઓ વિરુદ્ધ જમીન કૌભાંડના ત્રણ ગુન્હા દાખલ થયેલા હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.પી દ્વારા તપાસ LCBને સોંપાઈ હતી. અને આરોપીઓ વિરુદ્ધ જમીન કૌભાંડના ગુન્હા આચર્યા બાદ ફરાર હોય જેથી આરોપીઓને પકડી પાડવા માટે LCBની અલગ અલગ ટીમ બનાવી પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, મુકામે તપાસમાં હતી, જે દરમિયાન આરોપી વિજય પુંજા મોઢવાડીયાને પોરબંદરથી ઝડપી પાડવામાં આવ્યો છે,
ઝડપાયેલા શખ્સના કબ્જામાંથી જમીનના ખોટા ડોક્યુમેન્ટ બનાવેલ જે કબ્જે કરી આરોપીની પૂછપરછ દરમિયાન આ જમીન કૌભાંડના ઉપરોક્ત આરોપીઓ સિવાય પડદા પાછળ કાયદાના જાણકાર હોવાનું ખુલવા પામેલ છે, આ ગુન્હામાં સંડોવાયેલ નોટરી વકીલ વિરુદ્ધ અમદાવાદ તેમજ અન્ય જીલ્લાઓમાં જમીન કૌભાંડમાં અનેક ગુન્હા નોંધાયેલ હોય તેમજ આ ગુન્હામાં વપરાયેલ કુલ મુખત્યારનામું તેમજ સોગંદનામાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી ખોટા ફોટાઓ લગાવી ખોટા નામ ધારણ કરી સહીઓ કરેલ હોવાનું ખૂલવા પામેલ છે, એલસીબીએ જમીન કૌભાંડના આઠમાં થી માત્ર એક વિજય પુંજા મોઢવાડીયાની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે,