Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી 80-જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં કમળ જ ખીલશે એવું મતદાન પહેલાં જ જોવા મળી રહ્યું છે. આ વિધાનસભા મતવિસ્તારમાં કોન્ગ્રેસના વધુને વધુ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ભાજપામાં જોડાઈ રહ્યા છે. કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદાન પૂર્વે જ ચૂંટણી ચિત્રમાંથી બહાર નીકળી ગયાં હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.
જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપાનાં ઉમેદવાર ચીમનભાઈ શાપરિયાનો ચૂંટણી પ્રવાસ વધુને વધુ ગામો સુધી પહોંચી રહ્યો છે. છેલ્લાં દસ દિવસથી ચીમનભાઈનો ચૂંટણી પ્રચાર કાફલો જામજોધપુર અને લાલપુર તાલુકાના એક એક ગામમાં પહોંચી રહ્યો છે. સર્વત્ર ગ્રામજનો દ્વારા આવકાર મળી રહ્યો છે. મતદારો આ પંથકમાં કેસરિયો પરચમ લહેરાવવા મક્કમ છે કારણ કે, મતદારો ખુદ ભાજપાને અડીખમ માને છે. કાલે શુક્રવારે ચીમનભાઈ શાપરિયાએ પક્ષનાં જિલ્લાના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો સાથે લાલપુર તાલુકાના વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તે દરમિયાન કોન્ગ્રેસના સંખ્યાબંધ કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા હોવાનું જાહેર થયું છે.
ચીમનભાઈએ શુક્રવારે લાલપુર તાલુકાના આરિખાણા, નવી વેરાવળ, કરાણા, વડ પાંચસરા, મોટા પાંચસરા, ગલ્લા, માધુપુર, નવા ધૂણિયા અને રક્કા સહિતના ગામોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ ચૂંટણી પ્રચાર દરમિયાન લાલપુર તાલુકાના બાબરિયા, ચોરબેડી, બાઘલા અને સાજડીયારી ગામમાં કોન્ગ્રેસના ઘણાં કાર્યકરોએ ગુજરાતની ડબલ એન્જિન સરકારની વિકાસલક્ષી રાજનીતિમાં ભરોસો વ્યક્ત કરી, ચીમનભાઈ શાપરિયાને વિજયી બનાવવા ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો.
-જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં ચાલી રહેલી વ્યાપક ચર્ચાઓ જણાવે છે કે,
આ વખતે આ બેઠક પર કોંગ્રેસ ક્યાંય ચિત્રમાં ન હોવાનું દેખાઈ રહ્યું છે. કોન્ગ્રેસના ઉમેદવાર, આગેવાનો અને કાર્યકરો મતદારોની વચ્ચે ક્યાંય જોવા મળતાં નથી ! તેઓએ જાણે કે, ચૂંટણી પ્રચાર શરૂ જ ન કર્યો હોય એવી સ્થિતિ છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી આ વિધાનસભા બેઠક પર રેસમાં ટકી રહેવા મરણિયા પ્રયાસો કરી રહી છે પરંતુ તેઓનો પણ ગજ વાગતો ન હોવાનું સમજાઈ રહ્યું છે. ‘આપ’ નાં સંખ્યાબંધ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પાર્ટી છોડી જતાં રહ્યા છે ઉપરાંત જેઓ હજુ સુધી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ પણ પ્રચારમાં આવવાની તસ્દી ન લેતાં હોવાનું દેખાઈ રહ્યું છે. ટૂંકમાં, જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં સમગ્ર ચૂંટણી ભાજપા તરફી વનસાઈડ બની ગઈ હોવાની સ્થિતિ જોવા મળી રહી છે !
-આજે શનિવારે ચૂંટણી પ્રવાસનો સતત દસમો દિવસ
આજે શનિવારે ચીમનભાઈ શાપરિયાએ પક્ષનાં જિલ્લાના હોદેદારો, આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી વિવિધ ગામોમાં ચૂંટણી પ્રચાર સવારથી શરૂ કરી દીધો છે. આજે તેઓનાં પ્રચારનો સતત દસમો દિવસ છે. આજે તેઓનો ચૂંટણી પ્રચાર કાફલો સવારમાં કાટકોલા ખાતે પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનોએ તેઓનું સ્વાગત કર્યું હતું. આજનાં પ્રવાસમાં માનપર, બોડકી, ફોટડી, ભોરિયો, કબરકા, શેઢાખાઈ, સુપેડી, ચોખંડા, જોગરા, વાનાવડ તથા કૃષ્ણગઢ ગામમાં લોકસંપર્ક કરવામાં આવશે. ગ્રૂપ મિટિંગ તથા સભાઓ યોજવામાં આવશે.