Mysamachar.in-જામનગર:
વિધાનસભા ચૂંટણી સંદર્ભમાં જામનગર શહેરની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટી કોને કોને ટિકિટ આપશે ? એ મુદ્દે લાંબા સમયથી જોરદાર ચર્ચાઓ ચાલતી હતી. જો કે આજે ગુરૂવારે સવારે પક્ષની સતાવાર યાદી જાહેર થતાં તમામ અટકળોનો અંત આવ્યો છે. પાર્ટીએ બંને બેઠકો પર નવાં ચહેરા ઉતાર્યા છે જે બંને રાજયોગ ધરાવે છે એવું લાંબા સમયથી સમજાઈ રહ્યું હતું. કારણ કે, આ બંને ચહેરાઓ ‘ ગોડફાધર ‘ ધરાવે છે તે હકીકત સૌ જાણે જ છે ! જાહેર જીવનમાં ગોડફાધરનાં આશિર્વાદ વિના આગળ વધવું સામાન્ય રીતે ખૂબ અઘરૂં હોય છે.
ભારતીય જનતા પાર્ટીએ જામનગર ઉત્તર વિધાનસભા બેઠક માટે રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા પર પસંદગી ઉતારી છે. તેઓ શિક્ષિત અને સંપન્ન મહિલા હોવાં ઉપરાંત સૌમ્ય અને નિરાભિમાની હોવાનું સૌ જાણે છે. જો કે પતિની ક્રિકેટમાં ગ્લોબલ ઇમેજ અને અદ્રશ્ય ‘હાથ’ નો સાથ પણ તેઓનાં રાજયોગ ઉદય પાછળ કારણભૂત પરિબળો હોવાની ચર્ચાઓ સમગ્ર શહેરમાં સાંભળવા મળી રહી છે.
આ વિધાનસભા મતવિસ્તારમાં વર્તમાન ક્ષત્રિય ધારાસભ્યના વિકલ્પ તરીકે પાર્ટી માટે તેઓ ફરજિયાત બની ગયા હતાં એમ પણ રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પણ ક્ષત્રિય સમાજના છે. આ બેઠક પાછલાં દસ વર્ષથી આ સમાજનાં કબજામાં છે. અત્રે એ પણ નોંધનીય છે કે, રિવાબાએ પાછલાં કેટલાંક મહિનાઓ દરમિયાન જામનગર શહેર અને પંથકમાં પુષ્કળ સેવાકીય પ્રવૃતિઓ અને ખાસ કરીને મહિલાઓ સંબંધિત પ્રવૃતિઓનું ભાથું બાંધી લીધું હતું. તેઓ વિજય તરફ આસાનીથી દોડી શકશે એવું દેખાઈ રહ્યું છે અને પાર્ટી તેઓને જાહેર જીવનમાં લાંબી ઇનિંગ્સ રમાડવા આતુર હોવાનું પણ જાણવા મળે છે. ભવિષ્યમાં તેઓનું કદ વધુ લાર્જર થવાનાં ચાન્સ પણ છે, એમ આંતરિક વર્તુળો જણાવે છે. આ બેઠક પર ચૂંટણી ફાઈટ રસાકસીભરી રહે તેવાં પાસાંઓ ગોઠવાઈ ચૂક્યા છે પરંતુ ત્રિપાંખિયો જંગ હોવાથી આ બેઠક પર વનસાઈડ પવન શકય નહીં બને એમ પણ માનવામાં આવે છે.
79-જામનગર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર પાર્ટીએ જ્ઞાતિવાદને ચોક્કસપણે ધ્યાનમાં લીધો હોવાનું આપોઆપ સ્પષ્ટ થઈ રહ્યું છે. વર્તમાન ધારાસભ્ય ભુતકાળમાં પક્ષનાં પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા હોય પક્ષે તેઓની લાગણી પણ ધ્યાનમાં રાખી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત પાર્ટીનાં ઉમેદવાર દિવ્યેશ અકબરી અનુભવી અને ચતુર સ્થાનિક નેતા તરીકે લાંબી ઇનિંગ્સ રમી રહ્યા છે. ભૂતકાળમાં તેઓ સ્ટેન્ડિંગ કમિટીની કમાન બે વખત સંભાળી ચૂક્યા છે. ત્યારથી જ આમ તો તેઓનાં રાજયોગનો ઉદય થઈ ચૂક્યો હતો હવે ‘ ગોડફાધર ‘ ને કારણે તેઓ વધુ પ્રભાવી રાજકીય કારકિર્દી તરફ ઝડપભેર આગળ વધી રહ્યા છે.
આ બેઠક પર ઘણાં દાવેદારો હતાં. જે પૈકી કેટલાંક દાવેદારો તો સક્ષમ તથા deserving પણ હતાં પરંતુ કહે છે ને કે, જિતા વો હી સિકંદર એ ન્યાયે અકબરીનો ઘોડો તેજિલો તોખાર પૂરવાર થયો છે. ભાજપાનાં કમિટેડ મતદારો પૈકી કેટલાંક સમાજમાં જો કે વધતો ઓછો અસંતોષ ઉભરશે પરંતુ પાર્ટીએ એ પ્રકારની નારાજગીને પહોંચી વળવા તૈયારીઓ અગાઉથી જ કરી લીધી હશે. ગોડફાધરને કારણે અકબરી સમગ્ર શહેર સંગઠનનું મજબૂત પીઠબળ ધરાવે છે, જે તેમનાં માટે પ્લસ પોઈન્ટ પૂરવાર થઈ શકે છે. આ બેઠક પર કોન્ગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી ન હોય, કેવી રસાકસી થશે ? અથવા, રસાકસી થશે કે કેમ ? તે હવે ખબર પડશે.