Mysamachar.in-જામનગર:
જામનગર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણીનો માહોલ ધીમે ધીમે વધુ ઘાટો બની રહ્યો છે. જેમ જેમ ઉમેદવારોનાં નામોની જાહેરાત થતી જાય છે તેમ તેમ માહોલમાં રંગો ઉમેરાઈ રહ્યા છે. આ ઘટનાક્રમમાં જામનગર જિલ્લાની વાત કરીએ તો, જિલ્લાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોને પક્ષ દ્વારા ઉમેદવારી નોંધાવવા અંગે કાલે બુધવારે રાત્રે ટેલિફોનિક સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ સમાચાર સૌથી પહેલા સતાવાર રીતે “માય સમાચાર” દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા,
ગુજરાતમાં શાસકપક્ષ ભાજપા દ્વારા હજુ સુધી ઉમેદવારોની એક પણ યાદી જાહેર કરવામાં આવી નથી. કાલે બુધવારે સાંજે એવું જાણવા મળ્યું હતું કે, ગણતરીના કલાકોમાં પક્ષની સતાવાર યાદી જાહેર થશે. જો કે તે પછી એમ પણ જાહેર થયું હતું કે, પક્ષની સતાવાર યાદી ગુરૂવારે જાહેર થશે.
દરમિયાન, કાલે બુધવારે રાત્રે જામનગર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો -કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામજોધપુર માટે આજે ગુરૂવારે ઉમેદવારીપત્રો રજૂ કરવાની સૂચના અનુક્રમે મેઘજી ચાવડા, રાઘવજી પટેલ અને ચીમન શાપરિયાને આપી દેવામાં આવી છે એમ આ નેતાઓએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. આ સમાચાર વહેતાં થતાં જ આજે ગુરૂવારે સવારથી જિલ્લાભરમાં અનેક પ્રકારની ચર્ચાઓ અને ગણતરીઓ શરૂ થવા પામી છે. આ ત્રણેય ઉમેદવારો જૂના જોગીઓ છે. જે પૈકી બે નેતાઓ ગુજરાત સરકારમાં મંત્રીપદ પણ ભોગવી ચૂક્યા છે.
76-કાલાવડ બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા પર પસંદગી ઉતારી છે. તેઓ વર્ષ 2012 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિજયી થયાં હતાં. તેઓ આ વખતે પણ આ બેઠક માટે અગાઉથી જ પ્રબળ દાવેદાર લેખાતાં હતાં અને આખરે પક્ષે પણ તેઓની જ પસંદગી કરી છે.
77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની વાત કરીએ તો હાલમાં આ બેઠક પરનાં ભાજપાનાં ધારાસભ્ય રાઘવજી પટેલ વર્તમાન સરકારમાં કૃષિ વિભાગ કેબિનેટ મંત્રી તરીકે સંભાળી રહ્યા છે. તેઓ પેટાચૂંટણીમાં વિજયી થયાં હતાં. ભૂતકાળમાં તેઓ કોન્ગ્રેસ અને રાજપા (શંકરસિંહ વાઘેલાની પાર્ટી) માં પણ ધારાસભ્ય રહી ચૂકયા છે અને રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે. આ બેઠક પર ભાજપામાં ઘણાં બધાં દાવેદારો હતાં પણ પક્ષની પસંદગી રાઘવજી પટેલ રહ્યા. મહત્વનું છે કે રાઘવજી પટેલ અગાઉ 1996-1998 દરમિયાન સુરેશ મહેતા સરકારમાં રાજ્ય સરકારના મંત્રી તથા શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ સરકારમાં કેબીનેટ મંત્રી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. તેમની વિશેષતા એ છે કે 2007 થી 2012 દરમિયાન વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો પૂછનાર તરીકે જાણીતા છે.
આ ઉપરાંત 80-જામજોધપુર વિધાનસભા બેઠક માટે પક્ષે પૂર્વ મંત્રી ચીમન શાપરિયાને ઉમેદવાર બનાવ્યા છે. તેઓ ભૂતકાળમાં કેશુભાઈ પટેલ ની સરકાર ઉપરાંત મોદીસરકાર તથા રૂપાણી સરકારમાં પણ કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને કૃષિ તથા ઉર્જા જેવાં મહત્વનાં વિભાગો સંભાળી ચૂક્યા છે. તેઓ પીઢ નેતા તરીકે જામનગર ભાજપામાં દાયકાઓથી લોકપ્રિય છે. જો કે ગત્ ચૂંટણીમાં તેઓ સાંકડા માર્જિનથી પરાજિત થયાં હતાં.