Mysamachar.in-જામનગર:
જામનગર-હાલાર સહિત રાજ્યભરમાં વિધાનસભા ચૂંટણી પહેલાંનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વડાપ્રધાન અને દિલ્હીનાં મુખ્યમંત્રીએ તો ગુજરાતમાં રીતસર ધામા નાંખ્યા છે. થોડાં થોડાં દિવસે આ બંને મહાનુભાવો મતદારોને લોભાવવા આકાશપાતાળ એક કરી રહ્યા છે, ગુજરાતનાં મુખ્યમંત્રી પણ જામનગર સહિતના જિલ્લાઓમાં વેગવંતો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે ગઈકાલે યાત્રાધામ દ્વારકા ખાતે યોજાયેલી અરવિંદ કેજરીવાલની જંગી જાહેરસભાએ ભારતીય જનતા પાર્ટી સહિતના રાજકીય પક્ષોની ચિંતામાં જબરો વધારો કરી દીધો હોવાનાં અહેવાલો છે. કેજરીવાલની આ સભામાં ચિક્કાર માનવમેદની વચ્ચે ગુજરાતનાં મતદારો માટે વિવિધ ગેરંટી અને વચનો આપી, મતદારોને આકર્ષવા વ્યૂહ ગોઠવવામાં આવ્યો હતો.
કેજરીવાલે દ્વારકાનાં એનડીએચ મેદાનમાં તોતિંગ જાહેરસભા સંબોધી હતી અને રોજગારી ભથ્થું, મફત વીજળી તથા ભરતી પરીક્ષાઓ અને સરકારી ભરતીઓ તથા ખેડૂતો સંબંધી વિવિધ ગેરંટી ની જાહેરાતો કરતાં અને આમ આદમી પાર્ટી બોલેલું પાળી દેખાડે છે એવી ખાતરી આપતાં અને ઉદાહરણો સાથે સમજાવતાં દ્વારકા અને હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કેજરીવાલની આ તોતિંગ જાહેરસભા ચર્ચાનો વિષય બની છે. કેજરીવાલની આ જંગી જાહેરસભામાં અંદાજે આઠેક હજાર લોકો ઉમટી પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આ સભામાં લોકો ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો પહેલાં જ કેજરીવાલ જામનગરની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. જેને પરિણામે સમગ્ર હાલારમાં કેજરીવાલનું તથા આમ આદમી પાર્ટીનું નામ લોકચર્ચાનો મુખ્ય અને આકર્ષક મુદ્દો બન્યો છે.
જામનગર-હાલાર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેજરીવાલની ગંભીર નોંધ લેવાઈ રહી હોય શાસકપક્ષ સહિતના રાજકીય પક્ષોમાં ચોક્કસ પ્રકારના ગભરાટની સ્થિતિ સર્જાઈ હોવાનું જાણકારો કહે છે. કેજરીવાલે જાહેરસભા સંપન્ન થયાં પછી, ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતાં. પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પણ સભાને સંબોધી હતી. કેજરીવાલે સભામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કૃષ્ણનાં સુદર્શન ચક્રને યાદ કરતાં તાળીઓનો ગડગડાટ સાંભળવા – જોવા મળ્યો હતો. કેજરીવાલે દ્વારકા પછી કાલે પોરબંદરની મુલાકાત લીધી હતી. આજે તેઓની જાહેરસભા સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી રહી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ચૂંટણી પૂર્વેનો માહોલ બરાબર જામી રહ્યો છે. વડાપ્રધાન પણ ફરીથી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે.