Mysamachar.in-ગાંધીનગર
ગઈકાલે અચાનક રીતે જ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું છે, અને ત્યારથી એક જ ચર્ચા શરુ થઇ છે કે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તેના નામ પર છે. એક બાજુ રાજકીય માહોલ ગરમાયો છે, આવામાં ગુજરાતમાં હાલ એક સ્થળ એવુ છે જ્યાં નવા સીએમ બનાવવા અંગે ની ચર્ચાઓ પ્રભારીઓ સાથે ચાલી રહી છે, અને તે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનુ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાન…
આજે સવારથી જ સીઆર પાટીલનું નિવાસસ્થાન ચર્ચાનુ કેન્દ્ર બન્યું છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચી રહ્યાં છે. જેમાં પ્રદીપસિંહ વાઘેલા, ભરત બોઘરા, ઉદય કાંગડ (OBC મોરચાના અધ્યક્ષ), સુધીર ગુપ્તા (સહપ્રભારી) સી આર પાટીલના બંગલે પહોંચ્યા છે. તો બીજી તરફ, ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, બી એલ સંતોષ અને રત્નાકર પણ પાટીલના ઘરે પહોંચ્યા છે. ભાજપના કેન્દ્રીય નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પણ ગુજરાત આવી ગયા છે. તેમણે ગુજરાતની રાજકીય સ્થિતિ વિશે કહ્યું કે, કોણ મુખ્યમંત્રી બનશે તે વિષય અમારી સામે છે. મને અહી મોકલ્યો છે. અમે અહી બધા નેતાઓ સાથે ચર્ચા કરીશું. આગળી મૂવ વિશે જલ્દી જ જણાવીશું. જ્યારે પણ નેતાના પસંદગીની વાત આવે છે ત્યારે બધા જ લેવલે ચર્ચા થાય છે.
નવા મુખ્યમંત્રી પાટીદાર હશે તે બાબતે ભારે જોર પકડ્યું છે, અને તે જ દિશામાં ગઈકાલે મુખ્યમંત્રીના રાજીનામાં બાદ સંભવત: નામો ફરવાના શરુ થઇ ચુક્યા છે, એવામાં સટ્ટાબજારમાં નીતિન પટેલનું નામ સૌથી વધુ ફેવરિટ છે. તો સાથે જ મનસુખ માંડવિયા ઉપરાંત પુરશોતમ રૂપાલા, ગોરધન ઝડફિયા સહિતના નામ પર પણ સટ્ટો રમાઈ રહ્યો છે, પણ આ બધી જો અને તો ની વાત એટલા માટે છે કે ભાજપ હંમેશા કઈક નવું કરવાની ટેવ ધરાવે છે અને આ ચર્ચાઈ રહેલા તમામ નામોનો કદાચ છેદ ઉડી જાય અને કોઈએ ના વિચાર્યું હોય તેવું નામ પણ મુખ્યમંત્રી માટે આવી જાય તેમ પણ સમીક્ષકો જણાવે છે.
-તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના
વિજય રૂપાણીના રાજીનામાં બાદ આજે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપના ધારાસભ્ય દળની બેઠક બોલાવાઈ છે, જેમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી છે. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.