Mysamachar.in-જામનગર
જામનગર સહીત રાજ્યની 6 મનપાના ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શનિવારે પૂર્ણ થઇ ચુકી છે, અને આજે મનપાની ચુંટણી માટેના ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, ત્યારે જિલ્લામાં પંચાયતોની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે, જે અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થશે. પંચાયતોની ચૂંટણીને અનુલક્ષીને જુદી-જુદી સરકારી કચેરીના અધિકારીઓને ફરજની સોંપણી કરવામાં આવી છે. જે મુજબ ઉમેદવારો ત્યાં પોતાનું નામાંકન ભરી શકશે,
જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને 13 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. જયારે 28 ફ્રેબુઆરીના મતદાન થશે. જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 112 બેઠકની ચૂંટણી યોજાશે. આ માટે કુલ 705 મતદાન મથક રહેશે. ચૂંટણીમાં જિલ્લામાં કુલ 543059 મતદાર નોંધાયા છે. આજથી 13 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ 15 ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 16 ફેબ્રુઆરીના ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીના સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. જયારે 2 માર્ચના મતગણતરી થશે.આમ જામનગર જીલ્લામાં પણ આજથી રાજકીય માહોલ બરોબરનો જામશે.